‘ઈટાલિયન મા મજબૂર કરી રહી છે’, કંગના રણૌતે સોનિયા ગાંધીનો ઉલ્લેખ કરી રાહુલ પર કર્યા આકરા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kangana Ranaut On Rahul Gandhi : અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સમગ્ર દેશને મજાક બનાવી રાખ્યો છે અને તેમના માટે દરેક બાબત માત્ર એક મજાક જ છે.
સંસદના અપમાન અને વર્તન પર સવાલ
કંગના રણૌતે (Kangana Ranaut) કહ્યું કે, 'મને લાગે છે કે તે દેશની મજાક ઉડાવી રહ્યા છે. મેં પહેલીવાર સંસદનો આ રીતે મજાક બનતો જોયો છે. એક તરફ તેઓ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પાસે જવાબ માંગી રહ્યા છે કે, તેમણે વિદ્યાર્થીઓ સાથે એવું કંઈ કર્યું છે કે નહીં અને બીજી જ ક્ષણે એવું કહી રહ્યા છે કે અમે તેમની વાત સાંભળવા અહીં નથી આવ્યા.'
'રાહુલ ગાંધીમાં શરમ કે મર્યાદા બચી નથી'
કંગના રણૌતે વિપક્ષના નેતા પર નિશાન સાધતા કહ્યું કે, 'રાહુલ ગાંધી (Rahul Gandhi)માં હવે શરમ કે મર્યાદા નામની કોઈ વસ્તુ બચી નથી. આખી દુનિયા આ જોઈ રહી છે અને વિચારશે કે આ કયા પ્રકારના વ્યક્તિ છે.' તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષના નેતા તરીકે તેમની આ છેલ્લી ટર્મ સાબિત થશે કારણ કે તેઓ સંસદ અને દેશના નાગરિકોનું અપમાન કરી રહ્યા છે.
વડાપ્રધાનના રાજીનામાની માંગ પર વળતો પ્રહાર
વડાપ્રધાનના રાજીનામાની માંગ અંગે બોલતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા છે અને સતત 3જી વખત ભારે જનાદેશ મેળવીને સત્તા પર આવ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે, 'એવું લાગે છે કે તેઓ એવું વિચારે છે કે આ દેશમાં તેમના સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ.'
આંતરરાષ્ટ્રીય તાકાતો સાથે જોડાણનો મોટો આરોપ
ભાજપના સાંસદે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષી નેતા જોર્જ સોરોસ અને આંતરરાષ્ટ્રીય તાકાતો સાથે મળીને દેશને તોડવાનો અને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઈટાલિયન માતા અને રાજકીય હેસિયત પર પ્રહાર
અંતમાં કંગનાએ સોનિયા ગાંધી (Sonia Gandhi)નું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે, 'તેમની ઈટાલિયન માતા જ કોઈક રીતે વિપક્ષને તેમને પોતાના નેતા તરીકે સ્વીકારવા મજબૂર કરી રહી છે. બાકી 100 ચૂંટણી હારી ચૂકેલા વ્યક્તિની કોઈ રાજકીય હેસિયત હોતી નથી અને જનતાને તેમની કોઈ પરવા નથી.'
કંગનાએ Gen Zના કર્યા વખાણ
બીજીતરફ કંગના રણૌતે દેશના યુવાનો અંગે વાત કરતા કહ્યું કે, 'જેન-ઝી (Gen Z)ને આ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે જ્યારે આ પેઢી શરૂઆતમાં સામે આવી ત્યારે તેને વધુ સંવેદનશીલ માનવામાં આવતી હતી અને મુદ્દાઓ પર તેમની પ્રતિક્રિયાઓ વધુ ઉગ્ર હતી. પરંતુ જેન-ઝીએ હવે પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી છે. મારું માનવું છે કે, દરેક પેઢીની જેમ આપણા દેશના યુવાનોના પણ પોતાના સંઘર્ષો હોય છે. દરેક પેઢી બળવાના પોતાના તબક્કામાંથી પસાર થઈ છે, પછી તે ફ્લાવર પાવર આંદોલન હોય કે પછી સશસ્ત્ર ક્રાંતિ હોય. શરૂઆતમાં દરેક પેઢી બળવાખોર વલણ ધરાવતી હોય છે, પરંતુ અંતે તેઓ જીવનના મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે, જેમ અગાઉની પેઢીઓ થઈ હતી. આપણે હવે જોઈ રહ્યા છીએ કે જેન-ઝી તેની સાથે જોડાયેલી જૂની માનસિકતાઓમાંથી બહાર આવી ગઈ છે. હું કહીશ કે આજની જેન-ઝી મહત્વાકાંક્ષી અને જુસ્સાદાર સ્વભાવની છે. તેઓ દેશને આગળ લઈ જઈ રહ્યા છે અને પ્રતિભાશાળી તથા આત્મવિશ્વાસુ યુવાનોની કોઈ કમી નથી. આપણા યુવા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને પ્રતિભાશાળી યુવાનોને જુઓ, આખી દુનિયા તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસથી સતત પ્રભાવિત થઈ રહી છે.'









