ભાજપ નેતાઓ વચ્ચે વધ્યું ટેન્શન! મણિપુરમાં બંને નાયબ મુખ્યમંત્રી વચ્ચે પરસ્પર માથાકૂટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manipur News: મણિપુરમાં મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવ હવે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ સામસામે આવી ગયા છે. કૂકી સમુદાયમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન અને નાગા સમુદાયના નાયબ મુખ્યમંત્રી લોસી દિખો વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ શરૂ થતાં રાજ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે.
નાગા ધારાસભ્યોએ ગૃહ મંત્રીને પત્ર લખ્યો
અહેવાલો અનુસાર, પહેલી સપ્ટેમ્બરના રોજ નાગા નાયબ મુખ્યમંત્રી લોસી દિખો અને 8 નાગા ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને નેમચા કિપગેન અને તેમના પતિ થંગબોઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નાગા ધારાસભ્યોનો આક્ષેપ હતો કે, નેમચા કિપગેન કૂકી ઉગ્રવાદી જૂથોને આશ્રય આપી રહ્યા છે અને તાજેતરમાં નાગા લોકોના અપહરણ અને હત્યાઓ દરમિયાન તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો.
નેમચા કિપગેનનો પલટવાર અને સફાઈ
નાગા નેતાઓના આક્ષેપોને ફગાવી દેતાં નેમચા કિપગેને જણાવ્યું હતું કે 'મારા અને મારા પતિ પર લગાવાયેલા આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહીન છે. હું નાયબ મુખ્યમંત્રી બની તે પછી જ કૂકી અને નાગા સમુદાયો વચ્ચે વિવાદ કેમ ઉગ્ર બન્યો?'
અપહરણ અને ફોન બંધ હોવાના આરોપ અંગે જમાવ્યું કે, 'તે સમયે હું ફ્લાઈટમાં હતી અને ઉતરતાની સાથે જ મે કાર્યવાહી કરીને 18 નાગા બંધકોને સુરક્ષિત છોડાવવામાં મદદ કરી હતી.'
નોંધનીય છે કે, કિપગેનના પતિ, થંગબોઈ, કુકી નેશનલ ફ્રન્ટ (KNF)ના વડા છે, જે કેન્દ્ર સરકાર સાથેના ઓપરેશન કરારના સસ્પેન્શન હેઠળ છે. કિપગેને જણાવ્યું હતું કે 'SOO જૂથોની પ્રવૃત્તિઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે દેખરેખ રાખવામાં આવે છે.'
સરકાર પર સંકટના વાદળો
રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા મૈતેઈ નેતા યુમનામ ખેમચંદ સિંહને મુખ્યમંત્રી અને કૂકી તથા નાગા સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે, નાગા ધારાસભ્યોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર કિપગેન સામે યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લેશે, જેના કારણે રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરૂ બનવાની ભીતિ સેવાઈ રહી છે.




