India

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત, 7ના મોત, 22ની હાલત ગંભીર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાજસ્થાનમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો. હરિદ્વારથી ઈન્દોર જતી બસ ટ્રેલર સાથે અથડાતા ભીષણ આગ લાગી. આ દુર્ઘટનામાં 7 લોકોના કરુણ મોત થયા છે અને 22 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. કોલવા પોલીસ સ્ટેશન નજીક, રાત્રે 2:30 વાગ્યે બસમાં 37 મુસાફરો સવાર હતા. પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત, 7ના મોત, 22ની હાલત ગંભીર

Delhi Mumbai Express Way Bus accident in Rajsthan : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈને ટ્રેલર (ટ્રક) સાથે અથડાઈ હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે, જ્યારે 22 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 2:30 વાગ્યે કોલવા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આગ મિનિટોમાં જ આખી બસમાં ફેલાઈ ગઈ હતી અને બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.

રેસ્ટ એરિયા પાસે સર્જાયો અકસ્માત
એડિશનલ એસપી યોગેન્દ્ર ફોજદારે જણાવ્યું કે, આ દુર્ઘટના એક્સપ્રેસવે પર આવેલા રેસ્ટ એરિયા પાસે થઈ હતી. શરૂઆતની માહિતીમાં 2 લોકોના મોત અને 17 લોકો ઈજાગ્રસ્ત હોવાની આશંકા હતી, પરંતુ બાદમાં 6 મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ, સારવાર દરમિયાન ડૉક્ટરોએ વધુ એક મુસાફરના મોતની પુષ્ટિ કરતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. દૌસાના એસપી પીયૂષ દીક્ષિત પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરીની જાતે દેખરેખ રાખી રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓની આપવીતી
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાત્રે અઢી વાગ્યાની આસપાસ હરિદ્વાર તરફથી આવી રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને આગળ જતાં ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરોની હાલત હજુ પણ ગંભીર છે.