Supreme Court: સુપ્રીમ કોર્ટે પોલીસને સૂચના આપી છે કે, જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, આવી મહિલાઓની ધરપકડ કરવાની કે હેરાન કરવાની કોઈ જરૂર નથી. જો માનવ તસ્કરી દેહવ્યાપાર માટે કરવામાં આવે છે અને કોઈને છેતરવામાં આવે છે અથવા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવે છે, તો 'ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) ઍક્ટ' (ITPA) ઍક્ટ લાગુ પડે છે. આમ, કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પોલીસ સંમતિથી આ વ્યવસાય સાથે જોડાયેલા પુખ્ત વયની વ્યક્તિને પરેશાન કે પ્રતાડિત કરી શકે નહીં.
સ્વૈચ્છિક દેહવ્યાપાર કરવો એ ગુનો ન કહેવાય
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાવું ગેરકાયદે નથી. જોકે, વેશ્યાલય ચલાવવું ગેરકાયદે છે. ITPA 1956માં અમલમાં આવ્યો હતો. તેમાં અનેક કલમો છે અને આ કાયદામાં વેશ્યાલય ચલાવવાને ગુનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ કાયદાની કલમ 3 જણાવે છે કે, જો કોઈ પણ વ્યક્તિ દેહવ્યાપાર ચલાવવા માટે પોતાની જગ્યા ભાડે આપે છે અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તેને એકથી ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
શું છે ITPAનો કાયદો?
આ કાયદાની કલમ 4 જણાવે છે કે, કોઈપણ વ્યક્તિ માટે સેક્સ વર્કરની કમાણીનો ઉપયોગ કરવો એ ગુનો છે. આ કલમ સેક્સ વર્કરના પરિવારને પણ લાગુ પડે છે. જ્યારે કલમ 5 જણાવે છે કે, બળજબરી, લલચાવી અથવા મજબુરથી કોઈને દેહવ્યાપારમાં ધકેલી દેવા એ પણ ગુનો છે. કલમ 7 જણાવે છે કે, જાહેર સ્થળ અથવા ધાર્મિક સ્થળથી 200 મીટરની અંદર સેક્સ વર્કમાં જોડાવું એ ગુનો છે. જો કે, આ કાયદામાં ક્યાંય સંમતિથી સેક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે બુદ્ધદેવ કર્માકર વિરુદ્ધ બંગાળ રાજ્યના કેસમાં પણ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. આ કેસ સેક્સ વર્કર્સના પુનર્વસન અને અધિકારોથી સંબંધિત હતો. કોર્ટે કહ્યું કે, જેમ બંધારણની કલમ 21 દરેક વ્યક્તિને જીવનનો અધિકાર આપે છે, તેમ સેક્સ વર્કર્સ પણ ભારતના નાગરિક છે અને તેમને કાનૂની રક્ષણ મળવું જોઈએ.
ભારતના કાયદા પંચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વારંવાર ખુલાસો થયો છે કે, સેક્સ વર્કર્સ સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય છે. તે તેમના ગૌરવને નુકસાન પહોંચાડે છે. સંમતિથી સેક્સ વર્ક ગુનો નથી. તેથી, જો કોઈ વ્યક્તિ ITPAના કાયદાની અન્ય જોગવાઈનો ઉલ્લંઘન કરી રહ્યું નથી તો તેમને હેરાન ન કરવા જોઈએ.
આ નિર્ણયમાં જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનને કહ્યું કે, ' જો કોઈ પોતાની મરજીથી સેક્સ વર્ક કરી રહ્યું છે તો તેમને કસ્ટડીમાં લેવા કે સુધાર ગૃહમાં મોકલવાની જરૂરત નથી.