India

પેટ્રોલમાં કેટલું ઇથેનોલ છે તે પમ્પો પર જાહેર કરવા સુપ્રીમમાં માગ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ E20 મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મહત્વની અરજી થઈ છે. નરેન્દ્ર કુમાર ગોસ્વામીએ કરેલી અરજીમાં કેન્દ્ર સરકારને આદેશ આપવા માગ કરાઈ છે કે તમામ પેટ્રોલ પંપ પર ઇથેનોલની ટકાવારી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે અને બિલમાં પણ તેની સ્પષ્ટતા હોય. આ મામલે ૩૧ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલમાં કેટલું ઇથેનોલ છે તે પમ્પો પર જાહેર કરવા સુપ્રીમમાં માગ
  • ઇથેનોલના વિવાદ મુદ્દે ૩૧મીએ સુપ્રીમમાં સુનાવણી
  • ઇ૨૦ અમલને લાયક છે તેવા અભ્યાસ કે રિપોર્ટ રજુ કરવા કેન્દ્રને સુપ્રીમ આદેશ આપે તેવી પણ અરજી

નવી દિલ્હી : ઇ૨૦ એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઇને વિવાદ ચાલી રહ્યો છે, એવામાં એક મહત્વની માગ કરતી અરજી સુપ્રીમમાં થઇ છે. અરજદારે આ અરજીમાં માગ કરી છે કે તમામ પેટ્રોલ પમ્પો પર મળી રહેલા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા બોર્ડ લગાવવામાં આવે.
નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા થયેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે તે તમામ પેટ્રોલ પમ્પો પર પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે તેની માહિતી જાહેર કરવા કહે. સુપ્રીમ કોર્ટની દૈનિક સુનાવણીની યાદી મુજબ ૩૧ ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. અરજદારે એવી પણ માગણી કરી છે કે ગ્રાહકોને જે બિલ આપવામાં આવે છે તેમાં પણ એવી સ્પષ્ટતા કરવી જોઇએ કે પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે.
અરજદારે એવી પણ માગ કરી છે કે ઇથેનોલવાળા પેટ્રોલની વાહનો પર શું અસર થઇ રહી છે તેના રિપોર્ટને તૈયાર કરવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવે. ઇ૨૦ના અમલને સમર્થન કરતા અભ્યાસ, ટેક્નીકલ સ્ટડી સહિતના રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કરવા માટે ઓથોરિટીને આદેશ આપવામાં આવે. જે જુના વાહનો ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી ધરાવતા તેમના માટે સમયબદ્ધ રીતે માળખુ તૈયાર કરવામાં આવે. ૩૧મી તારીખે આ મામલે સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે.