Fuel Crisis News: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હવે સોમવાર અને શુક્રવારે માત્ર 'વર્ચ્યુઅલ' સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા(CJI) સૂર્યકાંતે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઇબ્રિડ સુનાવણીની વ્યવસ્થા હતી. એટલે કે, વ્યક્તિગત રીતે હાજરી અને વર્ચ્યુઅલ એમ બંને રીતે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી.
ઇંધણ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટનું પગલું:
-'મિસલેનિયસ ડેઝ' એટલે કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસોમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી થશે.
-આંશિક કાર્યકારી દિવસોમાં પણ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થશે.
-સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કાર પૂલિંગ કરવા માટે સહમત થયા.
સર્ક્યુલર જાહેર કરાયો
સુપ્રીમ કોર્ટે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ભારત સરકારના પર્સનલ ઍન્ડ ટ્રેનિંગ વિભાગ(DoPT) દ્વારા 12 મે 2026ના રોજ જાહેર કરાયેલા ઑફિસ મેમોરેન્ડમ અનુસાર, તાત્કાલિક અસરથી અનેક વહીવટી અને કામગીરી સંબંધી નવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં 'મિસલેનિયસ ડેઝ' (જેમ કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસો) અને આંશિક કાર્યકારી દિવસોમાં લિસ્ટ થયેલા કેસોની સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય
રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે કે વીડિયો લિંક સમયસર મોકલવામાં આવે અને ટેકનિકલ વ્યવસ્થા સુચારુ રાખવામાં આવે જેથી કોર્ટની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ઇંધણના શ્રેષ્ઠ ઉપયોગના ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પરસ્પર સંમતિથી કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે.
અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ
રજિસ્ટ્રીની દરેક શાખા/સેક્શનમાં વધુમાં વધુ 50% કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. જો કે, બાકીના સ્ટાફની ઑફિસમાં હાજરી અનિવાર્ય રહેશે, જેથી કામગીરી અવિરત ચાલતી રહે. સંબંધિત રજિસ્ટ્રારને સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કામ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડ્યે કર્મચારીઓને તાત્કાલિક ઑફિસ પણ બોલાવી શકાય છે. જો કોઈ શાખામાં વર્ક ફ્રોમ હોમ અસરકારક જણાતું નથી, તો રજિસ્ટ્રાર તેને મર્યાદિત અથવા સંશોધિત કરી શકે છે. આ વ્યવસ્થા વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા અને સંસાધનોના વધુ સારા ઉપયોગના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરી હતી અપીલ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગરિકોને ઇંધણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ફરી શરૂ કરવા, બિનજરૂરી વસ્તુઓની ખરીદી અને વિદેશ યાત્રાઓથી બચવા અપીલ કરી હતી. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ઉદ્ભવેલા વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે વિદેશી મુદ્રા બચાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વૈશ્વિક આર્થિક વિક્ષેપ, સપ્લાય ચેઇન પડકારો અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને કારણે વધતી કિંમતોનો સામનો કરવામાં સામૂહિક ભાગીદારીનું આહ્વાન કર્યું હતું.


