India

એપ્રિલમાં જે બિલ વિપક્ષે પાડી દીધું હતું, હવે તેને પાસ કરાવવા મોદી સરકારને સમર્થન આપશે શરદ પવાર

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારે વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. NCP (SP) સંસદમાં સીમાંકન બિલને ટેકો આપશે. સૂત્રો અનુસાર, પવારની પાર્ટી બિલની તરફેણમાં મતદાન કરશે. આ નિર્ણયથી રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિશ્લેષકો તેને પવારની વ્યૂહરચના માને છે, જ્યારે કેટલાક તેને કેન્દ્ર સરકાર પ્રત્યે સકારાત્મક વલણ ગણે છે. આ બિલ લોકસભા-વિધાનસભા મતવિસ્તારોની સીમાઓ નક્કી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપ્રિલમાં જે બિલ વિપક્ષે પાડી દીધું હતું, હવે તેને પાસ કરાવવા મોદી સરકારને સમર્થન આપશે શરદ પવાર
IMAGE - IANS

Sharad Pawar Delimitation Bill: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને NCP (SP)ના વડા શરદ પવારે વિરોધ પક્ષોને મોટો ઝટકો આપતા સંસદમાં સીમાંકન બિલ (ડિલિમિટેશન બિલ)ને ટેકો આપવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવારની પાર્ટી સંસદમાં આ બિલની તરફેણમાં મતદાન કરશે. વિપક્ષી ગઠબંધનના સૌથી મુખ્ય નેતાઓમાંથી એક એવા શરદ પવારના આ આશ્ચર્યજનક પગલાથી હવે દેશભરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા

NCP (SP)ના આ નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણની સાથે રાષ્ટ્રીય સ્તરે પણ ગરમાવો આવી ગયો છે. રાજકીય વિશ્લેષકો આ પગલાને શરદ પવારની એક ખાસ વ્યૂહનીતિ તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને કેન્દ્ર સરકાર તરફ પક્ષના હકારાત્મક વલણ તરીકે પણ મૂલવી રહ્યા છે. જો કે, આ મુદ્દે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો મક્કમતાથી કહી રહ્યા છે કે પક્ષે બિલની તરફેણમાં ઊભા રહેવાની પૂરી તૈયારી કરી લીધી છે.

શું છે આ ડિલિમિટેશન બિલ?

ડિલિમિટેશન બિલ દેશમાં લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે, જે અંતર્ગત નવી વસ્તી ગણતરીના આધારે ચૂંટણી ક્ષેત્રોનું નવેસરથી નિર્ધારણ કરવામાં આવશે. આ બિલ પાસ થવાથી બંધારણની કેટલીક કલમોમાં ફેરફાર કરવામાં આવશે, જેથી બેઠકોની વહેંચણી વર્તમાન વસ્તીના પ્રમાણમાં થઈ શકે. ગત એપ્રિલ મહિનામાં રજૂ કરાયેલા બિલ અનુસાર, આ પ્રક્રિયા બાદ લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા વધીને 815 થઈ શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકો અનામત રાખી શકાય છે, જેનાથી લોકસભામાં કુલ બેઠકોની સંખ્યા વધીને 850 થઈ જશે.

હાલમાં સંસદની બેઠકોની સંખ્યા વર્ષ 1971ની વસ્તી ગણતરીના આધારે નક્કી થયેલી છે, જ્યારે દેશની વસ્તી અને પરિસ્થિતિઓ હવે ઘણી બદલાઈ ચૂકી છે. સરકારનું કહેવું છે કે લાંબા સમયથી અટકેલી આ પ્રક્રિયાને આ બિલ દ્વારા વેગ મળશે અને એક સીમાંકન આયોગ (ડિલિમિટેશન કમિશન)ની રચના કરવામાં આવશે, જે નવા ચૂંટણી ક્ષેત્રોની ભૌગોલિક સીમાઓ અને બેઠકો નક્કી કરશે. જો કે, જે દેશો કે રાજ્યો વસ્તી નિયંત્રણમાં પાછળ છે અથવા આગળ છે, તે તમામ પાસાંઓ પર સંતુલન જાળવવું આ આયોગ માટે મહત્ત્વનું રહેશે.

એપ્રિલમાં પડી ગયું હતું બિલ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલું આ બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે સમગ્ર વિપક્ષે એક થઈને આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો અને સંસદમાં તેની વિરુદ્ધ મતદાન કરીને બિલને પાડી દીધું હતું.

ત્યારે બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા. બિલ રજૂ કરવા સમયે ગૃહમાં કુલ 528 સાંસદો હાજર હતા અને બિલ પાસ કરાવવા માટે સરકારને 352 મતોની જરૂર હતી. આમ, સરકાર માત્ર 54 મતોથી ચૂકી ગઈ હતી. આ બિલ પડી ગયા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, 'અમારી પાસે પૂરતું સંખ્યાબળ નહોતું, તેનો અર્થ એ નથી કે અમે હારી ગયા છીએ. ભવિષ્યમાં પણ અમને તકો મળતી રહેશે.' હવે શરદ પવારના આ સમર્થન બાદ સરકાર માટે આ બિલ પાસ કરાવવાનો રસ્તો ઘણો સરળ બની જશે તેમ દેખાઈ રહ્યું છે.