UBT MP Sanjay Raut On US-Iran War : શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા પર મહત્તવનું નિવેદન આપ્યું છે. રાઉતે યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતનું કહેવું છે કે, પાકિસ્તાનને જે યુદ્ધવિરામનો શ્રેય મળ્યો છે, તેના માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે. વિદેશ મંત્રીએ પાકિસ્તાનને દલાલ દેશ કહ્યો હતો, જોકે તેઓ આપણા દેશની ભૂમિકા સ્પષ્ટ ન કરી શક્યા. તેમણે એવું પણ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે યુદ્ધવિરામમાં ભૂમિકા ભજવવા બદલ પાકિસ્તાનનો આભાર માન્યો છે. આ કારણે હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા વધશે, જેના માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે. રાઉતના કહેવા મુજબ, ઈસ્લામાબાદમાં ઑપરોશે સિંદૂરનો ઝંડો ફરકારવવાનો હતો, જોકે હવે ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા યોજાશે, જેના કારણે વિશ્વમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠા વધશે.
યુદ્ધવિરામનો શ્રેય પાકિસ્તાનને, PM મોદી માટે શરમજનક વાત : રાઉત
સંજય રાઉતે (Sanjay Raut, MP, Shiv Sena UBT) કહ્યું કે, ‘પાકિસ્તાનને યુદ્ધવિરામનો શ્રેય મળી રહ્યો છે, જે ભારત માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માટે ખૂબ જ શરમજનક વાત છે. આપણે હંમેશા પાકિસ્તાનને કંગાળ દેશ કહીએ છીએ. જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થીની વાત સામે આવી ત્યારે વિદેશ મંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) કહ્યું હતું કે, તે ‘દલાલ દેશ’ છે અને આપણે દલાલી કરતા નથી. આ સારી વાત છે કે તમે દલાલી કરતા નથી, પરંતુ આપણો આટલો મોટો દેશ છે છતાં તમે તમારી ભૂમિકા સ્પષ્ટ ન કરી શક્યા.’
હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા વધશે : સંજય રાઉત
શિવસેના યુબીટીના સાંસદે વધુમાં કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે દલાલ દેશને થેન્ક્યૂ પાકિસ્તાન કહ્યું છે. આ યુદ્ધના કારણે વિશ્વભર ચિંતામાં મુકાયું, હવે ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા યોજાશે અને વિશ્વમાં પાકિસ્તાનને મહત્ત્વ મળશે. તમે ઈસ્લામાબાદમાં ઑપરેશન સિંદૂરનો ઝંડો ફરકાવવાના હતા. ત્રણેય દેશોએ પાકિસ્તાનને થેન્ક્સ કહ્યું છે. હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા વધશે, જે માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે.’
ટ્રમ્પ-નેતન્યાહૂ થાકી ગયા, ઈરાન ન થાક્યું : રાઉત
તેમણે વધુમાં કહ્યું કે, ‘આ યુદ્ધથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પણ થાકી ગયા છે. ઈરાન જેવા રાષ્ટ્રએ ટ્રમ્પને થકાવ્યા છે. ટ્રમ્પની બૉડી લેન્ગ્વેજ જુઓ. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝમિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) પણ થાકી ગયા છે. ગલ્ફના તમામ દેશો થાકી ગયા છે, પરંતુ ઈરાન થાક્યું નથી.’ ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાય છેલ્લા 40 દિવસથી ઈરાન પર હુમલા કર્યા હતા, જોકે હવે 40 દિવસ બાદ વિશ્વભરને રાહત મળી છે. અમેરિકા-ઈરાને યુદ્ધ 14 દિવસનું યુદ્ધવિરામ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જે ડેડલાઈન આપી હતી, જેના દોઢ કલાક પહેલા યુદ્ધવિરામની જાહેરાત કરાઈ છે. હવે બંને દેશો તરફથી હુમલા અટકી ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ (Pakistan PM Shehbaz Sharif) અને સેનાના વડા આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir)ની અપીલ બાદ તેમણે હુમલા અટકાવી દીધા.
આ પણ વાંચો : ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ


