Get The App

LPGની અછતની અફવા : કાળાબજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
LPGની અછતની અફવા : કાળાબજારમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1500 રૂપિયા 1 - image

- સરકારે રાંધણ ગેસના બૂકિંગના નિયમો બદલ્યા

- ગેસની અછતથી બેંગ્લુરુમાં હોટેલોનો આજથી રેસ્ટોરા સર્વિસ બંધ કરવા નિર્ણય, મુંબઈમાં પણ હોટેલો બંધ થશે

- સરકારી અધિકારીઓને રાંધણ ગેસનો પુરવઠો દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો

નવી દિલ્હી : ઇરાન યુદ્ધના કારણે દેશમાં ગેસના સિલિન્ડરોના કાળાબજાર થવા લાગ્યા છે. રમઝાન ચાલુ છે ત્યારે કેટલાક સ્થળોએ જરૂરિયાતના કારણે રાંધણ ગેસના સિલિન્ડર રૂ. ૧,૫૦૦માં ખરીદવાની ફરજ પડી છે. સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા ૨૧ના બદલે ૨૫ અને બે સિલિન્ડરવાળા ૨૫ના બદલે ૩૦ દિવસે બૂકિંગ કરાવી શકશે.

દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબીલાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂકિંગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નોએડાના સેક્ટર-૨૨માં એક ગેસ એજન્સીની બહાર સવારથી જ લોકોની લાઇન લાગી ગઈ. આ જ રીતે ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લાના બર્ડપુર ગામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. આ વિડીયોમાં લોકો મોટાપાયા પર ગેસ એજન્સીની બહાર ખાલી સિલિન્ડર લઈને લાઇન લગાવીને બેઠા છે. 

જો કે વપરાશકારોનું કહેવું છે કે વાસ્તવમાં એલપીજીની કોઈ કમી નથી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે તેમને નિયમિત રીતે સિલિન્ડર મળી રહ્યા છે. છતાં પણ કેટલાક સ્થળોએ સ્થિતિ જુદી દેખાય છે. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલાએ દાવો કર્યો કે તેણે એલપીજી ૧,૫૦૦ રુપિયામાં ખરીદ્યુ હતુ. 

સોમવારે બેંગ્લુરુ હોટેલ એસોસિયેશને મહત્ત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે મંગળવારની સવારથી બેંગ્લુરુની હોટેલોમાં રેસ્ટોરા સર્વિસ બંધ થઈ જશે. આ નિર્ણય કોમર્સિયલ કૂકિંગ ગેસની અછતના પગલે લેવાયો છે. આ પહેલા મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ખાસ આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમા જિલ્લા પુરવઠા અધિકારીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલને જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઈન તૂટી શકે છે.