Get The App

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- 'ED સરકારના ઈશારે ચાલે છે'

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- 'ED સરકારના ઈશારે ચાલે છે' 1 - image


Delhi's Rouse Avenue Court granted bail to Robert Vadra : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હરિયાણાના શિકોહપુર લેન્ડ ડીલ (જમીન સોદા) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને વચગાળાના જામીન આપી દીધા છે. કોર્ટે વાડ્રાને ₹50,000ના પર્સનલ બોન્ડ પર આ જામીન મંજૂર કર્યા છે. આ કેસની આગામી સુનાવણી હવે 10 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટના આ નિર્ણયને રોબર્ટ વાડ્રા માટે એક ખૂબ જ મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

ED અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

કોર્ટમાંથી રાહત મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા રોબર્ટ વાડ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, "મને દેશની ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. હું સારી રીતે જાણું છું કે EDને અત્યારે સરકાર ચલાવી રહી છે અને તે સંપૂર્ણપણે સરકારના ઈશારે જ કામ કરતી રહેશે. ED દ્વારા જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે તે બિલકુલ યોગ્ય નથી."

રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ

પોતાના પરિવાર પર થઈ રહેલી કાયદાકીય કાર્યવાહીને રાજકીય રંગ આપતા વાડ્રાએ ઉમેર્યું કે, "જ્યારે પણ અમારો પરિવાર ચૂંટણી જીતે છે અથવા તો રાજકારણમાં સારું પ્રદર્શન કરે છે, ત્યારે અમારે આ પ્રકારની તપાસનો સામનો કરવો પડે છે. જો દેશના લોકો હજુ પણ અમારા પરિવારને પ્રેમ કરતા હોય, તો સ્વાભાવિક છે કે વિપક્ષ તરીકે અમારે આ બધું સહન કરવું પડશે." તેમણે પોતાને નીડર ગણાવતા કહ્યું કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદ હરિયાણાના શિકોહપુરમાં થયેલા એક જમીન સોદા સાથે સંબંધિત છે. આ સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને કથિત મની લોન્ડરિંગ થયું હોવાના આક્ષેપો સાથે ED આ મામલે લાંબા સમયથી તપાસ ચલાવી રહી છે.