Get The App

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા 1 - image


પ. બંગાળના મુખ્યપ્રધાનની કાર્યકરોને અપીલ

મતદાર યાદીમાંથી નામ કમી થતાં બદલો લેવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા મમતાની લોકોને હાકલ 

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતાએ પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે તમામ વોટિંગ મશીનોની સારી રીતે તપાસ કરો.

બૂથ એજન્ટે પણ ઇવીએમની સારી રીતે તપાસ કરવી જોઇએ. મને તેમની યોજનાની ખબર છે. વોટિંગ પછી સીઆરપીએફ અને કેન્દ્રીય દળોની નજર હેઠળ તે સ્ટ્રોંગ રૂમમાં જઇને મશીન બદલી શકે છે. તેથી આપણે ૨૪ કલાક નજર રાખવી પડશે.

મમતાએ લોકોને અપીલ કરી હતી કે મતદાર યાદીમાંથી લોકોનાં નામ કાપી નાખવાનો બદલો લેવા માટે મતદાન કરો. 

તૃણમુલ કોંગ્રેસ પ્રમુખેે જણાવ્યું છે કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન જે લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે તે લોકો ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરે. 

શમશેરગંજમાં એક રેલીને સંબોધતા મમતાએ જણાવ્યું હતું કે લોકોનાં નામ કાપી નાખવાનો બદલો લેવા માટે અને એસઆઇઆર સામે વિરોધ દર્શાવવા માટે મતદાન કરો. 

ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદ જિલ્લો વકફ એમેન્ડમેન્ટ એક્ટ સામેના દેખાવો દરમિયાન ફાટી નીકળેલી હિંસાનું કેન્દ્ર હતું. બેનર્જીએ તૃણમુલ કાર્યકરોને પરિણામનાં દિવસ ચોથી મે સુધી સતર્ક રહેવા જણાવ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ૨૩ અને ૨૯ એપ્રિલ એમ બે તબક્કામાં થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તરફ ઇશારો કરતા બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન મતદારોનાં નામ કાપવા પાછળ તેમનો જ હાથ હતો. તેમણે જણાવ્યું હતું કે તેમનામાં હિંમત હોય તો ડાયરેક્ટ મુકાબલો કરે.