India

રાંચી વિદ્યાર્થી આંદોલન: બીજા તબક્કાની બેઠક પણ રહી નિષ્ફળ, કાલે બપોરે 12 વાગ્યે ફરી ચર્ચા

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કથિત પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓનો રોષ યથાવત છે. સરકારી સમિતિ અને આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની બીજા તબક્કાની બેઠક નિષ્ફળ રહી. વિદ્યાર્થીઓ તેમની તમામ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. હવે આવતીકાલે બપોરે 12 વાગ્યે ફરી બેઠક મળશે, જેમાં સરકાર વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાંચી વિદ્યાર્થી આંદોલન: બીજા તબક્કાની બેઠક પણ રહી નિષ્ફળ, કાલે બપોરે 12 વાગ્યે ફરી ચર્ચા

Ranchi Student Protest Second Round Talks Fail: ઝારખંડની રાજધાની રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગડબડીઓને લઈને વિદ્યાર્થીઓનો આક્રોશ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની મડાગાંઠ ઉકેલવા માટે બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠક પણ તદ્દન પરિણામ વગરની રહી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે.

બીજા તબક્કાની બેઠકમાં શું થયું?

ઝારખંડ સરકાર દ્વારા ગઠિત મંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિ અને વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને આંદોલન સમેટી લેવા માટે સખત પ્રયાસો કર્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની મુખ્ય માંગણીઓ પર અડગ રહ્યા. સરકારની દલીલો અને આશ્વાસનથી વિદ્યાર્થીઓ અસંતુષ્ટ રહ્યા, જેના કારણે બેઠક કોઈ આખરી નિર્ણય પર પહોંચી શકી ન હતી.

આવતીકાલે બપોરે 12 વાગ્યે ફરીથી બેઠક

બેઠક નિષ્ફળ જવા છતાં ચર્ચાના દરવાજા ખુલ્લા રખાયા છે. મંત્રી સંજય યાદવે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વધુ એક તબક્કાની બેઠક યોજાશે. આ બેઠકને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે સરકાર આ વખતે કોઈ વ્યવહારુ ઉકેલ લાવવા નવા વિકલ્પો પર વિચાર કરી શકે છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી એ છે કે, JPSC અને JSSC પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે, પેપર લીકની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેઓ માત્ર મૌખિક આશ્વાસનોથી નહીં માને, પરંતુ તેમને લેખિત અને નક્કર ખાતરી જોઈએ છે.