Get The App

લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ 1 - image
Image Source: IANS

Independence Day Function: સ્વતંત્રતા દિવસ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજ ફરકાવ્યો ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના કોઈ મોટા નેતા ત્યાં હાજર નહોતા. સ્વતંત્રતા પછી આ પહેલીવાર છે જ્યારે લોકસભા અને રાજ્યસભા બંનેના વિપક્ષી નેતાઓ સ્વતંત્રતા દિવસ પર આયોજિત મુખ્ય સમારોહમાં ગેરહાજર રહ્યા હતા.

ખાનગી ન્યૂઝ ચેનલના એક શોમાં કોંગ્રેસના પ્રવક્તા ડૉ. અજય ઉપાધ્યાયે કહ્યું કે, રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષી નેતાનું પદ કેબિનેટ મંત્રીના દરજ્જા સાથે વડાપ્રધાન પછી આગળની હરોળમાં રહ્યું છે. જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંહ સુધી ગમે તે સરકાર સત્તામાં હોય, આ પરંપરા રહી છે.

કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, જે પણ પક્ષના નેતા વિપક્ષી નેતા રહ્યા છે, તેમને આગળની હરોળમાં બેસાડવામાં આવ્યા છે. જ્યારે રાહુલ ગાંધી વિપક્ષી નેતા બન્યા, ત્યારે ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમને છેલ્લી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, બંને બંધારણીય પદો ધરાવે છે. આ બંધારણીય પદની ગરિમાનો વિષય છે. આ કોઈ વ્યક્તિનો મામલો નથી.

તેમણે કહ્યું કે, આ રાહુલ ગાંધીનો મામલો નથી, કે મલ્લિકાર્જુન ખડગેનો મામલો નથી. જો બંધારણીય પદ સંભાળતી વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે, તો તે બંધારણની ગરિમાનું ઉલ્લંઘન છે. ગરિમાનું ઉલ્લંઘન ટાળવા માટે આ બે લોકોએ રાષ્ટ્રીય તહેવાર ઉજવ્યો, રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને વડાપ્રધાન આ મુદ્દાનું રાજકારણ કરવા માગે છે. આનું રાજકારણ ન થવું જોઈએ.

ભાજપે વિપક્ષને ઘેરી લીધો

ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પ્રવક્તા આરપી સિંહે ગયા વર્ષે છેલ્લી હરોળમાં બેઠેલા હોવાના દલીલનો વિરોધ કર્યો અને કહ્યું કે શું તમે જોયું કે આજે બેઠક ક્યાં મૂકવામાં આવી છે? અગાઉ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં વિપક્ષના નેતાની ગેરહાજરી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વિપક્ષના નેતાનું પદ એક બંધારણીય પદ છે અને આ કાર્યક્રમમાં હાજરી આપવી તેમની બંધારણીય ફરજ છે.