Get The App

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર 1 - image

Rahul Gandhi Demands PM Modi Sack Education Minister Dharmendra Pradhan | NEET-UG 2026 પેપર લીક કૌભાંડને લઈને દેશભરમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર વિરૂદ્ધ મોરચો મજબૂત કર્યો છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધનને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા આપનારા 22 લાખ વિદ્યાર્થીઓ સાથે મોટો વિશ્વાસઘાત થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગંભીર મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે.

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, મોદીજી, ધર્મેન્દ્ર પ્રધાનજીને અત્યારે જ બરતરફ કરો. કાં તો શિક્ષણ મંત્રીને તાત્કાલિક હટાવો અથવા આ ગંભીર બેદરકારીની જવાબદારી વડાપ્રધાન પોતે પોતાના માથે લે.


પરીક્ષાના 2 દિવસ પહેલા વોટ્સએપ પર આવી ગયું હતું પેપર: રાહુલ ગાંધી

મેડિકલ કોલેજોમાં એડમિશન માટે ગત 3 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવ્યા બાદ તેને રદ કરવામાં આવી છે અને સરકારે આગામી 21 જૂનના રોજ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ મુદ્દે કેન્દ્રને ઘેરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના 22 લાખ વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી રાત-દિવસ એક કરીને આ પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ તેમની સખત મહેનત પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. આખો દેશ જાણે છે કે પરીક્ષા શરૂ થવાના 2 દિવસ પહેલા જ NEETનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર વિતરણ થઈ ગયું હતું.

શિક્ષણ વ્યવસ્થામાં RSS અને BJPની સાઠગાંઠનો ગંભીર આરોપ

રાહુલ ગાંધીએ માત્ર પેપર લીક જ નહીં, પરંતુ દેશની આખી શિક્ષણ પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આરએસએસ, ભાજપ અને યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચે એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જે દેશના શિક્ષણ તંત્રને બરબાદ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ યુનિવર્સિટીઓમાં થતી નિમણૂકો પર પ્રહાર કરતા કહ્યું, આખો દેશ જાણે છે કે જો તમારે કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનવું હોય, તો તમારી પાસે વિષયનું જ્ઞાન કે અનુભવ હોવો જરૂરી નથી. જો તમે RSS સાથે જોડાયેલા છો, તો તમે કુલપતિ બની શકો છો. પરંતુ જો તમારી વિચારધારા આરએસએસની નથી, તો તમને સ્થાન નહીં મળે. યોગ્યતાને બદલે માત્ર વિચારધારાના આધારે નિમણૂકો થઈ રહી છે.

રાહુલ ગાંધીએ આ કૌભાંડને દેશમાં વારંવાર થતા પેપર લીકની ઘટનાઓ સાથે જોડ્યું હતું. તેમણે દાવો કર્યો કે દેશમાં અત્યાર સુધીમાં અલગ-અલગ પરીક્ષાઓના પેપર 80થી વધુ વખત લીક થઈ ચૂક્યા છે, જેના કારણે અંદાજે 2 કરોડથી વધુ યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે.