Kerala Politics: I.N.D.I.A. ગઠબંધનની અંદર ફરી એકવાર અસંતોષ સપાટી પર આવ્યો છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયને શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીની આલોચના કરતા વિજયને કહ્યું કે, 'તેમનું રાજકીય વલણ વિપક્ષી 'I.N.D.I.A.' ગઠબંધનને મજબૂત નથી કરતું, પરંતુ કેટલીકવાર તેનો ફાયદો ભાજપને મળે છે.' રાહુલ ગાંધીએ તાજેતરમાં જ I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં પી. વિજયનને રાજકીય હરીફ હોવાને કારણે ગળે ન લગાડવાની વાત કહી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા વિજયને કહ્યું કે, 'કોણ કોને ગળે લગાવે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો.'
રાહુલ ગાંધી ભાજપને જ ફાયદો કરાવે છે
પૂર્વ મુખ્યમંત્રી વિજયને દાવો કર્યો કે, 'I.N.D.I.A. ગઠબંધનની બેઠકોમાં માત્ર ડાબેરી પક્ષોએ જ નહીં, પરંતુ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય બિન-કોંગ્રેસી દળોના નેતાઓએ પણ કોંગ્રેસના વલણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આજે જે સ્થિતિ સર્જાઈ છે, તે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીના વલણને કારણે છે. તેમનું વલણ I.N.D.I.A. ગઠબંધનને મજબૂત નથી કરતું. હું પહેલા પણ કહી ચૂક્યો છું તેમ, આનાથી ઘણીવાર ભાજપને ફાયદો થાય છે. રાહુલ ગાંધી પોતાના આવા પગલાઓથી અજાણતા જ ભાજપના હિતોને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.'
નિપાહના પ્રકોપને ડામવામાં કેરળ સરકાર સુસ્ત: પિનરાઈ વિજયન
વિપક્ષના નેતા પિનરાઈ વિજયને રાજ્યમાં વધી રહેલા નિપાહ વાયરસના સંક્રમણને લઈને કેરળ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, 'સરકાર નિપાહના પ્રકોપને ડામવામાં અત્યંત સુસ્ત વલણ અપનાવી રહી છે.' પત્રકારો સાથેની વાતચીતમાં વિજયને કહ્યું કે, 'નિપાહ વાયરસનો પ્રકોપ ખૂબ જ ગંભીર વિષય છે અને તેની સામે તે જ સ્તરની ગંભીરતા સાથે કામ લેવું જોઈએ. હું તબીબોની કામગીરી પર સવાલ નથી ઉઠાવી રહ્યો, પરંતુ આરોગ્ય વિભાગ અને સરકારે સમગ્ર આરોગ્ય તંત્રને સક્રિય કરીને જરૂરી પગલાં ભરવા જોઈએ. જો કે, હાલમાં એવું કશું દેખાઈ નથી રહ્યું.'


