આખરે પૂજા ખેડકર સામે કાર્યવાહી, ટ્રેનિંગ રદ, OBC અને દિવ્યાંગ સર્ટિફિકેટ પર ઉઠયા હતા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IAS Pooja Khedkar: સતત વિવાદોમાં ઘેરાયેલા ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવામાં આવી છે. મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ અકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન એટલે કે LBSNAA એ પૂજાની ટ્રેનિંગ તાત્કાલિક રદ કરી દીધી છે. આ ઉપરાંત તેમને નોટિસ ફટકારીને અકેડેમીમાં પરત બોલાવી લેવામાં આવ્યા છે.
શું છે વિવાદ?
પૂજા ખેડકર UPSC પરીક્ષામાં ઓબીસી અને દ્રષ્ટિબાધિત ઉમેદવાર હતા. આ સાથે માનસિક બીમારીનું પણ પ્રમાણપત્ર આપ્યું હતું. UPSCએ એપ્રિલ 2022માં પૂજાને દિલ્હી એઈમ્સમાં હાજર થવા માટે કહ્યું હતું, જેથી તેમની વિકલાંગતા પ્રમાણિત કરી શકાય. જો કે તે તપાસ માટે હાજર જ નહોતા થયા. એટલું જ નહીં, ત્યાર પછી પણ પૂજા ખેડકરે સળંગ છ વખત તપાસ માટે હાજર થવામાં આનાકાની કરી હતી.
મેડિકલ ટેસ્ટમાં ગરબડ?
પૂજા ખેડકરે બાદમાં પોતે જ પ્રાઇવેટ તપાસ કેન્દ્રમાંથી MRI રિપોર્ટ UPSCમાં જમા કરાવ્યો હતો. જોકે UPSCએ એ રિપોર્ટ માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં આ સમગ્ર મામલો CAT સુધી પણ ગયો, પરંતુ છેલ્લે પૂજા ખેડકરે આપેલું સર્ટિફિકેટ જ માન્ય રાખીને IAS તરીકે તેમની નિયુક્તિ કરાઈ હતી.
કરોડોના માલિકની પુત્રી છતાં ઉઠાવ્યો ગેરલાભ
જો કે પૂજા ખેડકરે તો OBC સર્ટિફિકેટમાં પણ ગરબડ કરી હોવાના આરોપ છે. તેમના પિતાએ વર્ષ 2024માં લોકસભા ચૂંટણી લડી હતી. એ ચૂંટણીમાં તેમના પિતાએ કુલ 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેથી સવાલ ઉઠી રહ્યા છે કે પિતા પાસે જો કરોડો રૂપિયા હોય તો પુત્રી પૂજા પાસે OBCનું નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ આવ્યું ક્યાંથી?
પોતાના બચાવમાં શું કહ્યું?
આ બધા સવાલો વચ્ચે પૂજા થોડા દિવસ અગાઉ મીડિયા સામે જવાબ આપ્યો હતો, કે 'હું તમામ સવાલોના જવાન કમિટી સામે આપીશ. કમિટી જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. આ જે કંઈ ચાલી રહ્યું છે, તે મીડિયા ટ્રાયલ છે. સત્ય જે પણ હશે તે સામે આવશે. ભારતીય બંધારણ મુદ્દે જ્યાં સુધી આરોપો સાબિત ન થઈ જાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત ન માનવી જોઈએ.'
નોંધનીય છે જે પૂજાએ વર્ષ 2022માં UPSCની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમનો 821મો રેન્ક હતો.




