Droupadi Murmu And Premanand Maharaj Meeting : બ્રજ પ્રદેશની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મથુરાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. રાધા કેલી કુંજ આશ્રમમાં રાષ્ટ્રપતિ અને પ્રેમાનંદ વચ્ચે લગભગ 27 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આશ્રમમાં પહોંચ્યા પછી પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિનું "રાધે-રાધે" કહીને સ્વાગત કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પ્રેમાનંદ મહારાજને મળ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મથુરાના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે આધ્યાત્મિકતા, સમાજ અને બ્રજ પ્રદેશની પરંપરાઓ અંગે ચર્ચા થઈ હતી. આ મુલાકાત વખતે આશ્રમ દ્વારા રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપ દુપટ્ટો, માળા અને પ્રસાદ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે તેમનો પરિવાર પણ હતો.
રાષ્ટ્રપતિ અને UPના રાજ્યપાલની પ્રેમ મંદિરની મુલાકાત
અગાઉ તેમની મુલાકાતના પહેલા દિવસે રાષ્ટ્રપતિએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પ્રેમ મંદિરની મુલાકાત લઈ ભગવાન રાધા-કૃષ્ણના દર્શન કર્યા હતા, જ્યાં તેઓ 'ભોગ ઘર' પ્રવેશદ્વાર દ્વારા મંદિરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન મંદિર વ્યવસ્થાપન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં પહોંચ્યા પછી તેમણે પરંપરાગત વિધિઓ અનુસાર પૂજા કરી અને આરતી સમારોહમાં ભાગ લીધો હતો.


