India

વિજય થલપતિની સરકાર પાડી દેવાની તૈયારી? તમામ વિરોધીઓ એકજૂટ થયા, શું છે પ્લાન

By GS Team
9 Sep 20263 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં અભિનેતા-મુખ્યમંત્રી વિજયની TVK સરકાર સામે વિપક્ષ એકજૂથ થઈ રહ્યો છે. AIADMKએ DMKને સાથે આવવાનો પડકાર ફેંક્યો છે, જોકે DMK તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. પલાનીસ્વામીએ અન્ય પક્ષોને પણ વિરોધ મોરચામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. TVKની સંકલન બેઠકમાંથી ડાબેરી પક્ષો દૂર રહ્યા, જ્યારે કોંગ્રેસ, VCK, IUML અને MDMK જોડાયા. 2029માં PM ચહેરાને લઈને TVK અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય થલપતિની સરકાર પાડી દેવાની તૈયારી? તમામ વિરોધીઓ એકજૂટ થયા, શું છે પ્લાન

Opposition Unites Against Vijay Thalapathy Government: તમિલનાડુમાં પ્રથમ વખત ચૂંટણી લડીને સરકાર બનાવવામાં સફળ રહેલા અભિનેતા અને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) સામે રાજ્યના તમામ વિરોધી પક્ષો એકજૂથ થવાની તૈયારી કરી રહ્યા છે. AIADMK (અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)એ મુખ્ય વિપક્ષી પક્ષ DMKને સાથે આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. AIADMKના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એડપ્પડી કે. પલાનીસ્વામીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિજયની સરકાર વિરુદ્ધ જો અન્ય પક્ષો પણ વિપક્ષી મોરચામાં જોડાવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જોકે, મુખ્ય વિરોધ પક્ષ DMK તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

DMKને પડકાર અને AIADMKના 6 ધારાસભ્યો તૂટ્યાનો ઈતિહાસ

મંગળવારે પૂર્વ સીએમ પલાનીસ્વામીને પૂછવામાં આવ્યું હતું કે શું TVK વિરુદ્ધ કોઈ નવું મહાગઠબંધન તૈયાર થઈ રહ્યું છે? તેના જવાબમાં તેમણે કહ્યું:

"હા, અમે પણ TVKની વિરુદ્ધમાં છીએ. જો કોઈ અન્ય પક્ષ અમારી સાથે જોડાવા માંગતો હોય, તો અમે તેમનું સ્વાગત કરીશું. અમારું ગઠબંધન જેવું છે તેવું રહેશે, પરંતુ જો બીજા પક્ષો આવવા માંગતા હોય તો જોડાઈ શકે છે."

આ સાથે જ તેમણે DMK પર નિશાન સાધતાં પૂછ્યું હતું કે શું DMK આ મોરચામાં જોડાવાની હિંમત દાખવશે? નોંધનીય છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ AIADMKના 6 ધારાસભ્યો પક્ષ છોડીને વિજયના પક્ષ TVKમાં જોડાઈ ગયા હતા, જેનાથી AIADMK બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. જૂન મહિનામાં DMK નેતા આર.એસ. ભારતીએ બંને દ્રવિડ પક્ષોના જોડાણની શક્યતાઓને નકારી હતી ખરી, પરંતુ કહ્યું હતું કે ભવિષ્યમાં જો બંને પક્ષો સાથે આવે તો તેમાં કંઈ ખોટું નથી.

સ્ટાલિને આપી હતી ચેતવણી: ‘વિધાનસભાને ફિલ્મનો સેટ ન સમજો’

ઓગસ્ટ મહિનામાં DMK વડા એમ.કે. સ્ટાલિને પાર્ટીની કારોબારી બેઠકમાં કહ્યું હતું કે તેમની પાર્ટી પુનરાગમન કરવામાં સક્ષમ છે અને જમીની સ્તરે જનસમર્થન પાછું મેળવવા સક્રિય રહેશે. સ્ટાલિને વિજય પર કટાક્ષ કરતાં કહ્યું હતું:

"તેઓ (વિજય) વિધાનસભાને કોઈ ફિલ્મનો સેટ સમજે છે અને ડાયલોગબાજી કરે છે. અમે રાજકારણમાં કંટાળીને નથી આવ્યા, અમે લડવા આવ્યા છીએ. ચૂંટણી હાર્યા પછી આગામી ચૂંટણી સુધી ઊંઘતા રહેવાની આદત બીજા પક્ષોની હોઈ શકે છે, DMK વિપક્ષમાં રહીને પણ લોકો માટે સતત અસાધારણ કામ કરવા માટે જાણીતી છે."

TVKની સંકલન બેઠકમાંથી ડાબેરી પક્ષો અળગા રહ્યા

બીજી તરફ, મુખ્યમંત્રી વિજયની TVK પાર્ટીએ ચેન્નાઈ સ્થિત મુખ્યાલય ખાતે સાથી પક્ષો સાથે ગઠબંધનને ઔપચારિક રૂપ આપવા, કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડવા અને સ્ટીયરિંગ કમિટીની રચના કરવા મહત્ત્વની સંકલન બેઠક બોલાવી હતી. જોકે, ડાબેરી પક્ષો—માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) અને CPIએ આ બેઠકમાંથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું છે અને સામેલ થવાનો ઇનકાર કર્યો છે. બેઠકમાં કોંગ્રેસ, VCK, IUML અને MDMKના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે.

2029માં PM ચહેરાને લઈને TVK અને કોંગ્રેસ વચ્ચે મતભેદો

આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે 2029ની લોકસભા ચૂંટણીમાં વિજયને વડાપ્રધાન પદના સંભવિત ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવાની TVK નેતાઓની માંગણીને લઈને કોંગ્રેસ સાથે પણ મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષી ગઠબંધનનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી જ રહેશે. જોકે, આ વિવાદ વધતાં TVK એ ડેમેજ કંટ્રોલ કરતાં 'વિજય ફોર પીએમ'ના નિવેદનોને કેટલાક નેતાઓના અંગત મંતવ્યો ગણાવ્યા હતા.