Get The App

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, 3 દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, 3 દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો 1 - image


BJP Punjab VP Joins SAD, Assam Congress Leader Ripun Bora Resigns : પંજાબ અને આસામના રાજકારણમાં એકસાથે મોટા ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે કેસરિયો છોડીને ઘરવાપસી કરી છે, તો બીજી તરફ આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ પંજાનો સાથ છોડી દીધો છે. 

પંજાબ: ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદ ખન્નાની 'ઘરવાપસી'

પંજાબમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ ખન્ના રવિવારે શિરોમણી અકાલી દળ (SAD) માં સામેલ થઈ ગયા છે. SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે સંગરૂર ખાતે ખન્નાના નિવાસ્થાને જઈને તેમને પક્ષમાં આવકાર્યા અને સંગરૂર વિધાનસભા ક્ષેત્રના પ્રભારી નિયુક્ત કર્યા છે. ખન્નાએ 2022માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમણે અકાલી દળમાં જોડાવવાને 'ઘરવાપસી' ગણાવી છે. નોંધનીય છે કે, સંગરૂરના AAP ધારાસભ્ય નરિંદર કૌર ભરજે તાજેતરમાં ભાજપ પર 'ઓપરેશન લોટસ' હેઠળ તેમને લાલચ આપવાનો આક્ષેપ કર્યો હતો, જોકે હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ આ આક્ષેપોનું ખંડન કર્યું છે.

આસામ: ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ રિપુન બોરાનું રાજીનામું

આસામમાં આગામી થોડા મહિનાઓમાં જ ચૂંટણી યોજાવાની છે, તે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બોરા 2001માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 2016 થી 2021 સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. રિપુન બોરા હવે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે આસામના જ વધુ એક નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભુપેન કુમાર બોરાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. જોકે તેમણે પાર્ટી છોડવાનું કારણ જાહેર કર્યું નથી. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી દીધું છે. બીજી તરફ, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ વચ્ચેના શાબ્દિક પ્રહારોએ રાજકારણ વધુ ગરમાવ્યું છે, જેમાં સરમાએ ગોગોઈ પરિવાર પર ગંભીર અંગત આક્ષેપો કર્યા છે.