Get The App

'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...', વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...', વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર 1 - image

PM Modi On President Murmu West Bengal Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શનિવારે(7 માર્ચ, 2026) આદિવાસી સમુદાય માટેના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TMC સરકારની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ઉલ્લેખ કરતા PMએ કહ્યું કે, 'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...'

રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી..: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ."

રાષ્ટ્રપતિનો સુનિશ્ચિત કાર્યક્રમ બદલાયો

રાષ્ટ્રપતિ મૂર્મુએ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડીના બિધાનનગરમાં નવમા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું અને સંથાલ બાળકો માટે શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમનો કાર્યક્રમ મૂળ રીતે અલગ સ્થળે યોજાવાનો હતો, પરંતુ બાદમાં વહીવટીતંત્રે સ્થળ બદલી નાખ્યું હતું. રાષ્ટ્રપતિએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ કહ્યું કે, "જો સંમેલન પહેલાથી નક્કી કરેલા સ્થળે યોજાયું હોત તો સારું થાત, કારણ કે તે મોટું હતું અને વધુ લોકોને હાજરી આપી શકત. મને ખબર નથી કે વહીવટીતંત્રના મનમાં શું ચાલી રહ્યું હતું કે તેમણે સંમેલન માટે એવું સ્થાન પસંદ કર્યું જે સંથાલ લોકો માટે અગમ્ય છે. મને ખૂબ જ દુઃખ છે કે અહીંના લોકો સંમેલનમાં હાજરી આપી શક્યા ન હતા. કારણ કે તે ખૂબ દૂર યોજાયું હતું."

આ પણ વાંચો: 'મમતા મારી નાની બહેન જેવી, પણ...', બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર

તેમણે વધુમાં કહ્યું, "કદાચ વહીવટીતંત્રને આશા હતી કે અહીં કોઈ નહીં આવે અને રાષ્ટ્રપતિ ચાલ્યા જશે. જો રાષ્ટ્રપતિ કોઈ સ્થળની મુલાકાત લે છે, તો મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ આવવું જોઈએ. પરંતુ તેઓ આવ્યા ન હતા. હું પણ બંગાળની દીકરી છું. મમતા દીદી પણ મારી નાની બહેન છે. મને ખબર નથી કે તે મારાથી ગુસ્સે હતી કે નહીં, જેના કારણે આવું થયું."