PM Modi Convoy news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક ઉદાહરણીય ડગલું ભર્યું છે. પીએમે પોતાની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવે. આ પગલા દ્વારા તેઓ અન્ય મંત્રીઓ અને સરકારી વિભાગોને પણ ખર્ચ ઘટાડવાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે.
ઈલેક્ટ્રિક વાહનો પર ભાર પણ નવો ખર્ચ નહીં
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (EV) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માટે કોઈ નવી ગાડી ખરીદવામાં આવશે નહીં, જેથી સરકારી તિજોરી પર વધારાનો બોજ ન પડે. SPG એ પીએમના આ નિર્દેશો પર અમલ શરૂ કરી દીધો છે અને સુરક્ષાની 'બ્લૂ બુક' ના નિયમો જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
પીએમ મોદીએ તાજેતરમાં હૈદરાબાદમાં જનતાને સોનું ન ખરીદવા અને ઈંધણ બચાવવા અપીલ કરી હતી. પશ્ચિમ એશિયામાં (ઈરાન યુદ્ધ) તણાવને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે અને શિપિંગમાં અવરોધ ઊભો થયો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં 60 દિવસનો તેલ અને ગેસનો સ્ટોક છે, પરંતુ ભવિષ્યની સ્થિતિને જોતા વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
સરકારી વિભાગોમાં શું બદલાશે?
પીએમના આ નિર્ણય બાદ હવે અન્ય મંત્રાલયોમાં પણ નીચે મુજબના ફેરફારો જોવા મળી શકે છે:
મેટ્રોનો ઉપયોગ: કર્મચારીઓને ઓફિસ જવા માટે મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે.
કારપૂલિંગ: અધિકારીઓને આવવા-જવા માટે કારપૂલિંગનો વિકલ્પ અપનાવવા જણાવાશે.
ભોજ સમારંભોમાં કાપ: સરકારી મંત્રાલયોમાં થતા મોટા અને ખર્ચાળ ભોજન સમારંભો ટાળવામાં આવશે.
વર્ક ફ્રોમ હોમ: જરૂર જણાય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' ના વિકલ્પ પર પણ વિચારણા ચાલી રહી છે.


