PM Modi On US-Israel War With Iran : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને પગલે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટના પ્રમુખ દેશોના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ટેલિફોનિક વાતચીત કરીને શાંતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ચર્ચા કરી છે.
PM મોદીની ઓમાન-કુવૈતના નેતાઓ સાથે વાતચીત
વડાપ્રધાન મોદીએ આજે (3 માર્ચે) ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા અલ-ખાલિદ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ દેશો પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ત્યાં વસતા લાખો ભારતીયોની સલામતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સાઉદી અને બહેરીન પરના હુમલાની આકરી ટીકા
આ અગાઉ બીજી માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને બહેરીનના કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વાત કરી હતી. સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથેની વાતચીત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સમાન હુમલાઓની ભારત સખત ટીકા કરે છે. તેમણે બહેરીનના રાજાને પણ ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં બહેરીનની જનતા સાથે અડગ ઊભું છે.
જોર્ડનના રાજાનો માન્યો આભાર
પીએમ મોદીએ બીજી માર્ચે જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે પણ વાત કરી હતી. પીએમએ જોર્ડન સ્થિત ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ રાજાનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સાર્વભૌમત્વના સમર્થનમાં છે. નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં અંદાજે એક કરોડ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારત સરકાર માટે હાલ સૌથી મોટી પ્રાથમિકતા છે.


