Get The App

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત 1 - image


PM Modi Appeal Gold Forex Logic: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. આટલું જ નહીં તેમણે સાથે સાથે લોકોને એક વર્ષ સુધી ગમે તે પ્રસંગ હોય સોનું ન ખરીદવા પણ હાકલ કરી છે. જેથી સવાલ થાય કે પેટ્રોલ-ડીઝલ તો ઠીક પણ સોનું ન ખરીદવાથી દેશને શું ફાયદો થાય? PM મોદીની આ અપીલ પાછળ વિદેશ મુદ્રા ભંડાર બચાવવાનું મોટું ગણિત છુપાયેલું છે.

ભારત મોટા ભાગના સોનાની આયાત જ કરે છે

ભારત દુનિયામાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું સોનું આયાત કરીએ છીએ અને તેની ચૂકવણી ડૉલરમાં કરવી પડે છે. ભારતે નાણાકીય વર્ષ 2026માં 72 બિલિયન ડૉલર એટલે કે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું છે, જે પાછલા વર્ષ કરતાં 24 ટકા વધુ હતું. 

ભારત જેટલી વસ્તુઓની આયાત કરે છે તેમાં 10 ટકા હિસ્સો તો માત્ર સોનાનો જ છે. 

જો સોનાની આયાત ઘટે તો શું થાય?

જો ભારતીયો એક વર્ષ માટે સોનાની ખરીદીમાં કાપ મૂકે, તો તેની સીધી અસર દેશના કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર પડશે. જો સોનાની આયાતમાં 30-40 ટકા ઘટાડો થાય, તો દેશના 20-25 બિલિયન ડૉલર બચી શકે છે. ડૉલરની માંગ ઘટતા ભારતીય રૂપિયો મજબૂત થશે અને બચેલા ડૉલરનો ઉપયોગ મોંઘા ક્રૂડ ઓઇલની ચૂકવણી માટે કરી શકાશે.

યુદ્ધના સમયે આ કેમ જરૂરી છે?

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે તેલના ભાવ બેરલ દીઠ 100 ડૉલરને પાર કરી ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનીને વધુ ખરીદી કરે છે, જેના કારણે ડૉલર વધુ બહાર જાય છે.