S-400ના ડરથી પાકિસ્તાન ફફડ્યું: ભારતમાં એક્ટિવ કર્યા હતા સ્લીપર સેલ, પૂર્વ એર માર્શલનો ઘટસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

S-400 Air Defence India : પાકિસ્તાન સામે મે 2025માં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને લઈને પશ્ચિમી વાયુ કમાનના તત્કાલીન પ્રમુખ એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાએ મોટા અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતની રશિયા નિર્મિત S-400 એર ડિફેન્સ સિસ્ટમ સૌથી મોટી ગેમ-ચેન્જર સાબિત થઈ હતી. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું ચોક્કસ લોકેશન શોધવા માટે પાકિસ્તાન એટલું હતપ્રભ બની ગયું હતું કે તેણે ભારતમાં પોતાના જાસૂસો અને સ્લીપર સેલને સક્રિય કરી દીધા હતા.
S-400ના ડરથી સરહદથી 200 કિમી દૂર રહ્યા પાકિસ્તાની વિમાનો
એર માર્શલ મિશ્રાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમના ડરથી પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ ભારતીય સરહદથી 200 કિલોમીટરના વિસ્તારમાં પણ આવવાની હિંમત કરી શક્યા નહોતા. S-400ની ચોક્કસ સ્થિતિ જાણવા માટે પાકિસ્તાને તમામ પ્રયાસો કર્યા હતા. તેમને ચીન જેવા અન્ય દેશો તરફથી રિયલ-ટાઇમ સેટેલાઇટ ડેટા મળી રહ્યો હતો અને સાથે જ તેમણે ભારતમાં પોતાના જાસૂસોને પણ કામે લગાડ્યા હતા.
314 કિમી દૂરથી પાકિસ્તાની વિમાન તોડી પાડી નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો
ભારતીય દળોએ પાકિસ્તાનના ગ્રાઉન્ડ રડાર નષ્ટ કરી દીધા બાદ પાકિસ્તાને સરગોધાથી પોતાનું એરબોર્ન સર્વેલન્સ (હવાઈ નિરીક્ષણ) વિમાન હવામાં ઉડાડ્યું હતું. તે સમયે ભારતીય S-400 ઓપરેટરે 314 કિલોમીટરની ઐતિહાસિક અંતરેથી સચોટ નિશાન સાધીને તેને હવામાં જ તોડી પાડ્યું હતું. સૈન્ય ઇતિહાસમાં જમીન પરથી હવામાં માર કરતી મિસાઈલ (સરફેસ-ટુ-એર) દ્વારા સૌથી વધુ અંતરે કરવામાં આવેલો આ સર્વશ્રેષ્ઠ શિકાર છે.
પહલગામ હુમલા બાદ શરૂ કરાયું હતું ઓપરેશન સિંદૂર
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 25 પ્રવાસીઓના મોત બાદ ભારતે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 9 આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી સૈન્ય નેતૃત્વને યોજના બનાવવાની સંપૂર્ણ છૂટ અપાઈ હતી અને માત્ર આતંકવાદીઓ અને તેમના આકાઓને જ નિશાન બનાવવાની સ્પષ્ટ સૂચના હતી, જેથી સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય.
ભારતે પાકિસ્તાનના 11 સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા
9 મેના રોજ પાકિસ્તાને સેંકડો ડ્રોન અને મિસાઈલો છોડી હતી, જેમાંથી એક હુમલામાં એરફોર્સ સ્ટેશનની હોસ્પિટલને નુકસાન થયું હતું. તેના જવાબમાં ભારતે 10 મેના રોજ પાકિસ્તાનના 11 સૈન્ય મથકોને નિશાન બનાવીને તેની વાયુસેનાની કમર તોડી નાખી હતી. ભારતીય વાયુસેનાએ સૌપ્રથમ પંજાબ સરહદ નજીક ગોઠવેલા અમેરિકન AN/TPS શ્રેણીના રડાર અને 2 કમાન્ડ સેન્ટરોને નષ્ટ કરી પાકિસ્તાની એરફોર્સને લાચાર બનાવી દીધી હતી.
મહિલા ફાઈટર પાઈલટોની મહત્વપૂર્ણ ભૂમિકા અને 88 કલાકમાં યુદ્ધવિરામ
એર માર્શલ મિશ્રાએ જણાવ્યું કે આ ઓપરેશનમાં મહિલા ફાઈટર પાઈલટોએ અસાધારણ બહાદુરી બતાવી હતી. તેમણે મુરીદકે ખાતે આવેલા લશ્કરના મુખ્ય મથક પર સચોટ બોમ્બમારો કર્યો હતો અને 10 મેના રોજ ફરીથી ઉડાન ભરી પાકિસ્તાનના એરબેઝ અને કમાન્ડ સેન્ટરોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. આ ભીષણ હુમલાના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન યુદ્ધવિરામ (સીઝફાયર) ની આજીજી કરવા મજબૂર બન્યું હતું અને આ સાથે જ 88 કલાક સુધી ચાલેલો આ ભીષણ સૈન્ય સંઘર્ષ પૂર્ણ થયો હતો.




