સરહદેથી ઘણા અંદર સુધી પાક.ના ડ્રોન પહોંચવા ચિંતાજનક
2022-2024માં ગુપ્ત માહિતી મેળવવામાં ઘટાડો થતા આતંકીઓને મોકળું મેદાન મળેલું :એનઆઇએ
ગયા વર્ષે એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા પર્યટકોના ધર્મ પૂછી પૂછીને માથામાં ગોળીઓ ધરબીને ૨૬ હિન્દુઓનો ભોગ લેવાયો હતો. આ આતંકી હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે.
એનઆઇએની ચાર્જશીટમાં જણાવાયું છે કે પાકિસ્તાની ડ્રોન આતંકીઓના હથિયારો સાથે ભારતમાં ઘણુ અંદર સુધી ઘૂસી આવ્યું અને કોઇને જાણ પણ ના થઇ. એટલુ જ નહીં ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન પણ ગુપ્ત રિપોર્ટ મેળવવામાં ઘણી ખામીઓ જોવા મળી જેને પગલે જ આતંકી સેલ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા અને આ હુમલો થયો.
તપાસમાં અન્ય એક ચિંતાજનક બાબત સામે આવી છે, સરહદ પર મોટી સંખ્યામાં ડ્રોન ડિટેક્ટ કરતી સિસ્ટમ લગાવવામાં આવી હોવા છતા પાકિસ્તાની ડ્રોન અંદર સુધી ઘૂસી રહ્યા છે. આતંકીઓ સુધી રૂપિયા અને હથિયારો આ ડ્રોન દ્વારા અંદર બારામુલ્લા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પાકિસ્તાની ડ્રોન આટલી સુરક્ષાને પણ કઇ રીતે ભેદી રહ્યા છે તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રોન પણ ગોગલ ડારા જંગલ સુધી પહોંચ્યું હતું જ્યાં આતંકીઓને હથિયારો મળ્યા હતા. આ ડ્રોનમાં ૨૦ પિસ્તોલ, ૧૫ લાખ રૂપિયા ચાઇનીઝ ગ્રેનેડ વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં પહોંચાડાયા હતા. એવા અહેવાલો છે કે આતંકીઓ સુધી પહોંચતા આ ડ્રોન હવામાં બહુ ઉપર ઉડી શકે તેવી રેન્જના હોઇ શકે છે.


