India

વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો, ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોન કૉલનું જ અંતર: પીએમ મોદી

By GS Team
30 Jan 20212 mins read
This article was originally published on 30 Jan 2021
વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો, ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોન કૉલનું જ અંતર: પીએમ મોદી

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે સર્વપક્ષીય બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને અકાલી દળના નેતા બલવિંદર સિંહએ ખેડૂત આંદોલન મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તો બીજી તરફ બેઠકમાં જેડીયૂનું પ્રતિનિધિત્વ કરનારા રાજ્યસભાના સાંસદ આરસીપી સિંહે કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતુ.

સંસદના બજેટ સત્રને લઇને વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવાની ઘટના પર ખેદ વ્યક્ત કર્યો. આ ઉપરાંત તેમણે ફરી યાદ કરાવ્યું કે 22 જાન્યુઆરીએ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવેલો પ્રસ્તાવ હજુ પણ યથાવત છે. ખેડૂત આંદોલનનું સમાધાન વાતચીત મારફત જ શોધી શકાય છે.

પીએમ મોદીએ બેઠકમાં તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂતો અને સરકારની વચ્ચે વાતચીતનો માર્ગ હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક કોલનું જ અંતર છે. સરકાર તરફથી તમામ રાજકીય પક્ષોને આશ્વસ્ત કરવામાં આવ્યા કે બજેટ સત્ર દરમિયાન સરકાર કૃષિ કાયદા સહિત તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા બજેટ સત્રના પહેલા જ દિવસે 20 રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના અભિભાષનો બહિષ્કાર કર્યો હતો. તેથી સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોના મુદ્દે સંસદમાં કોઇ ઉહાપો ન થાય.