- લોકસભાના સ્પીકર સામે પક્ષપાતી વલણનો વિપક્ષનો આરોપ
- વિપક્ષના સાંસદોને બોલવા નથી દેવાતા જ્યારે સત્તાધારી પક્ષને બેફામ બોલવાની, બીજાને અપમાનીત કરવાની પણ છૂટ : કોંગ્રેસ
નવી દિલ્હી : લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે વિપક્ષ પ્રસ્તાવ લાવે તેવી શક્યતાઓ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બજેટ સત્રમાં બોલતા અટકાવવા બદલ તેમજ વિપક્ષના આંઠ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ લગાવીને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે. બીજી તરફ સોમવારે રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય કેટલાક નેતાઓ ઓમ બિરલાને મળ્યા હતા અને સંસદમાં વિવાદોનો ઉકેલ લાવવા પર ચર્ચા કરી હતી.
લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર તમામ સાંસદો દ્વારા ભાષણ આપવામાં આવી રહ્યા હતા, વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, આ દરમિયાન લોકસભાના અધ્યક્ષ અને સ્પીકર ઓમ બિરલાએ તેમને બોલતા અટકાવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. ભાષણ વખતે તેઓ ઓમ બિરલાને એમ પણ કહેતા જોવા મળ્યા હતા કે સ્પીકર તમે કહો તે મુજબ બોલું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન હોબાળો કરવા બદલ વિપક્ષના આઠ સાંસદોને લોકસભામાં સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ તમામ મુદ્દાથી કોંગ્રેસ લોકસભાના સ્પીકર ઓમ બિરલાથી નારાજ જોવા મળી રહી છે.
એવા અહેવાલો છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર વિપક્ષના ૧૦૦થી વધુ સાંસદોએ સહી કરી દીધી છે. કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે પોતાના વિચારો રજુ કરવાની પણ સ્વતંત્રતા નથી અપાઇ રહી, જ્યારે બીજી તરફ સરકાર તરફથી ઇચ્છે તે લોકસભામાં બોલવાની છૂટ છે. વિપક્ષના સાંસદો સામે વાંધાજનક નિવેદનો કરવાની પણ છૂટ મળી રહી છે. જે નેતાઓ જીવિત નથી તેમની વિરુદ્ધ બોલવાની પણ લોકસભામાં છૂટ અપાઇ રહી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસની મહિલા સાંસદો પર આરોપો લગાવી રહ્યા છે. સંસદમાં વિપક્ષ માટે કોઇ જ સ્થાન નથી.
બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ સૈન્ય વડા એમ એમ નરવણેના પુસ્તકમાં જે ખુલાસા થયા છે તેનાથી ડરી ગયા છે અને તેથી તેઓ સંસદમાં નહોતા આવ્યા. વિપક્ષના સાંસદો તરફથી ધમકીઓને કારણે નહીં પણ પૂર્વ સૈન્ય વડાના પુસ્તકના ડરને કારણે મોદી સંસદથી દૂર રહ્યા. જે પણ કહી રહ્યું હોય કે નરેન્દ્ર મોદીએ વિપક્ષના સાંસદોથી ખતરો છે તેને વિપક્ષના સાંસદોની વિરુદ્ધમાં એફઆઇઆર દાખલ કરાવવાની છૂટ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં ચાલી રહેલા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો, વિપક્ષના સાંસદોએ લોકસભાના વિવાદોને લઇને રાજ્યસભામાં વિરોધ નોંધાવ્યો હતો, જોકે અધ્યક્ષે લોકસભાનો મુદ્દો રાજ્યસભામાં નહીં ઉઠાવવા કહ્યું હતું અને બોલતા અટકાવ્યા હતા જેને પગલે રાજ્યસભામાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. લોકસભામાં પણ સોમવારે વિપક્ષે ચીનની ઘૂસણખોરી, અમેરિકા સાથેની ડીલ, વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.


