Get The App

'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
Pahalgam Terror Attack 2025


Pahalgam Terror Attack 2025: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના સુંદર પર્યટન સ્થળ પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી દીધી હતી. આ હુમલાની પ્રથમ વરસીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા ઓપરેશન સિંદૂરને યાદ કર્યું છે. સેનાએ લખ્યું કે, 'જ્યારે માનવતાની હદ પાર થાય છે, ત્યારે જવાબ પણ નિર્ણાયક હોય છે. ન્યાય મળી ગયો છે અને ભારત એકજૂથ છે.' આ સાથે જ એક ગ્રાફિક પણ શેર કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ સંદેશ હતો કે ભારત કંઈ પણ ભૂલતું નથી.

શું હતું ઓપરેશન સિંદૂર? પાકિસ્તાન પર થયેલી મોટી કાર્યવાહી

પહલગામ હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન અને તેના દ્વારા કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 મોટા આતંકી લોન્ચપેડને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ મિશનમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

પાકિસ્તાને માગ્યું હતું યુદ્ધવિરામ 

આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે 4 દિવસ સુધી ભારે સંઘર્ષ ચાલ્યો હતો. ભારતીય સેનાના પ્રચંડ પ્રહારથી પાકિસ્તાનને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, જેના કારણે પાકિસ્તાનના DGMO એ ભારત સામે સીઝફાયર માટે વિનંતી કરવી પડી હતી. છેવટે 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે સહમતિ સધાઈ હતી. આ મિશનની સફળતા પર સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ત્રણેય સેનાઓના અદભૂત તાલમેલની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

ભારતની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 'મિશન સુદર્શન ચક્ર'ની પણ જાહેરાત કરી હતી. આ મિશનનો મુખ્ય હેતુ સરહદ પર દુશ્મનોની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાનો અને ભારતની આક્રમક લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.

'ભારત ભૂલતું નથી!', પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને 'ઓપરેશન સિંદૂર'ની યાદ અપાવી 2 - image