NTA ફરી વિવાદોના ઘેરામાં: NEET બાદ UGC-NET પરીક્ષામાં ગરબડ, 3 વિષયોના પેપર રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NTA Controversy : NEET પેપર લીક વિવાદ બાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી UGC-NET પરીક્ષામાં પણ ગંભીર ગરબડ સામે આવી છે. આ ગંભીર ખામીઓને પગલે NTA એ રવિવારે મોડી સાંજે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) જેવા ત્રણ મહત્વના વિષયોની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.
NTA ના જણાવ્યા મુજબ, આ ત્રણેય વિષયોની પરીક્ષા આગામી 9 અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ ફરીથી યોજવામાં આવશે. આ પુનઃપરીક્ષા માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. પરીક્ષાનું શહેર, સેન્ટર અને એડમિટ કાર્ડ અંગેની વિગતો ટૂંક સમયમાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
પરીક્ષા રદ કરવા પાછળ NTA એ આપ્યા ચોંકાવનારા કારણો
NTA દ્વારા પરીક્ષા રદ કરવા પાછળ જે કારણો આપવામાં આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક ભૂલો, ટાઇપિંગ અને ટ્રાન્સલેશન (અનુવાદ) ની ક્ષતિઓ, પ્રખ્યાત વિદ્વાનોના નામોના ખોટા સ્પેલિંગ, પુસ્તકોના ખોટા શીર્ષકો તેમજ વ્યાકરણ, લિંગ અને વચન સંબંધિત અનેક ભૂલો મળી આવી હતી. આ ઉપરાંત, રદ કરાયેલા પ્રશ્નપત્રોમાં મોટી સંખ્યામાં એવા પ્રશ્નો હતા જે ભૂતકાળની પરીક્ષાઓમાંથી સીધા જ પૂછવામાં આવ્યા હતા, જે પેપર લીક જેવી ક્ષતિઓ તરફ પણ ઈશારો કરે છે. NTA ના મતે આટલી મોટી ભૂલોને માત્ર ચેલેન્જ પ્રોસેસ દ્વારા સુધારી શકાય તેમ નહોતી.
વિદ્યાર્થીઓની ઘેરાવની ધમકી બાદ એક્શન
UGC-NET ની 87 વિષયોની પરીક્ષામાંથી 84 વિષયોની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કર્યા બાદ NTA એ આ નિર્ણય લીધો છે. પરિણામોમાં સતત થઈ રહેલા વિલંબથી નારાજ થઈને વિદ્યાર્થીઓએ 11 ઓગસ્ટે NTA ના ઘેરાવની ધમકી આપી હતી, જેના પછી એજન્સીએ એક અઠવાડિયામાં આન્સર-કી જાહેર કરવાનું આશ્વાસન આપ્યું હતું. બાકીના 84 વિષયો માટે 18 ઓગસ્ટ 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી વાંધા અરજી (ઓબ્જેક્શન) નોંધાવવાની વિન્ડો ખુલ્લી રહેશે.
પુનઃપરીક્ષાનું વિષયવાર શિડ્યૂલ
અંગ્રેજી: 9 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-1: સવારે 9:00 થી બપોરે 12:00)
કોમર્સ: 9 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-2: બપોરે 3:00 થી સાંજે 6:00)
સમાજશાસ્ત્ર (Sociology): 10 સપ્ટેમ્બર 2026 (શિફ્ટ-1: સવારે 9:00 થી બપોરે 12:00)
બાકીના 84 વિષયોના પરિણામો સમયસર જાહેર થશે
NTA એ સ્પષ્ટતા કરી છે કે આ ત્રણ વિષયો સિવાયના બાકીના 84 વિષયોના પરિણામો નિર્ધારિત સમયે જ જાહેર કરવામાં આવશે. JRF સીટોની ફાળવણી, આસિસ્ટન્ટ પ્રોફેસરની પાત્રતા અને PhD એડમિશન માટે ઈ-સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયામાં આ પુનઃપરીક્ષાના કારણે કોઈ વિલંબ થશે નહીં. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વોલિફાય થનારા ઉમેદવારોની સંખ્યા જૂન 2026 ની પરીક્ષા અને પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારોની કુલ સંખ્યાના 6 ટકા મુજબ જ રહેશે.









