India

ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે હવે આ પરીક્ષા પાસ કરવી જ પડશે, CBSEનો મોટો નિર્ણય

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
CBSE એ NEP 2020 હેઠળ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. 2027-28 થી 10મા ધોરણના વિદ્યાર્થીઓએ પાસ થવા માટે શાળા કક્ષાની આ પરીક્ષા પાસ કરવી પડશે. જોકે, મુખ્ય બોર્ડ પરીક્ષામાં તેનો સમાવેશ નહીં થાય. 9મા ધોરણમાં નાપાસ વિદ્યાર્થીઓ 10મામાં ફરી પરીક્ષા આપી શકશે. આ નિયમ 2026-27માં 9મામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે હવે આ પરીક્ષા પાસ કરવી જ પડશે, CBSEનો મોટો નિર્ણય

CBSE Third Language Mandatory Assessment 2026 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માળખા હેઠળ શાળાકીય શિક્ષણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. બોર્ડે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા’ (Third Language) નું ઇન્ટરનલ એસેસમેન્ટ એટલે કે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક સત્ર 2027-28 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પાસ સર્ટિફિકેટ મેળવવા માટે શાળા કક્ષાએ લેવાતી આ ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી જ પડશે.

ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા બહાર રહેશે, પણ પાસ થવું અનિવાર્ય

CBSE દ્વારા 10 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ ફેરફાર શૈક્ષણિક સત્ર 2026-27 માં ધોરણ 9 માં પ્રવેશ મેળવતા અને 2027-28 માં ધોરણ 10 માં આવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે. જોકે, રાહતની વાત એ છે કે આ ત્રીજી ભાષા (R3) ની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં નહીં આવે. પરંતુ, શાળા દ્વારા લેવાતા આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) માં પાસ થવું ક્વોલિફાઇંગ સબ્જેક્ટ તરીકે ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 ની આ આંતરિક પરીક્ષામાં નાપાસ થશે, તો બોર્ડનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં શાળાએ તેની ફરીથી પરીક્ષા (Reassessment) લેવી પડશે.

ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સુધારા માટે મળશે વધુ 1 વર્ષ

નવા નિયમો અનુસાર, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9 માં ત્રીજી ભાષાના એસેસમેન્ટમાં નાપાસ થશે, તો પણ તેને ધોરણ 10 માં પ્રમોટ (પાસ) કરી દેવામાં આવશે. પરંતુ, તે વિદ્યાર્થીએ ધોરણ 10 માં અભ્યાસ કરવાની સાથે-સાથે ધોરણ 9 ની બાકી રહેલી ત્રીજી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. આ જોગવાઈને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં, પરંતુ સેકન્ડરી શિક્ષણ પૂરું કરતાં પહેલાં ભાષાની આ શરત પૂરી કરવી જ પડશે. હાલ 2026-27 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપનારી બેચને આ નિયમ લાગુ પડશે નહીં.

ધોરણ 6 થી જ લાગુ થશે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા

આ અગાઉ 29 જૂનના પરિપત્રમાં બોર્ડે જાહેરાત કરી હતી કે શૈક્ષણિક સત્ર 2026-27 થી ધોરણ 6 થી જ ત્રણ ભાષાઓનો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ માળખા હેઠળ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે, જેમાંથી ઓછામાં ઓછી 2 ભાષાઓ ભારતીય હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી અંગ્રેજી સાથે વિદેશી ભાષા પસંદ કરી છે, તેઓ તે ચાલુ રાખી શકશે પરંતુ તેમણે વધારાની એક ભારતીય ભાષા પણ શીખવી પડશે. પહેલાં વિદ્યાર્થીઓ ધોરણ 8 પછી ત્રીજી ભાષા છોડી દેતા હતા, જે હવે ધોરણ 10 સુધી ભણવી પડશે.

નવો નિયમ કોર્ટના દરવાજે પહોંચ્યો: કેન્દ્ર સરકારનો બચાવ

CBSE ના આ થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાના પરિપત્રને અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. અરજીકર્તાઓએ માગ કરી છે કે ત્રીજી ભાષાના આ નિયમને વર્ષ 2029-30 સુધી લંબાવવામાં આવે. આ મામલે 13 જુલાઈના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં એક સોગંદનામું રજૂ કરીને નીતિનો બચાવ કરાયો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે શિક્ષણ એ બંધારણની સંયુક્ત સૂચિ (Concurrent List) નો વિષય છે, જેથી કેન્દ્ર અને રાજ્ય બંનેને NEP લાગુ કરવાનો અધિકાર છે. આ નીતિથી બહુભાષિત્વને પ્રોત્સાહન મળશે, ભારતીય ભાષાઓનું સંરક્ષણ થશે અને રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે.