PM મોદીના નિવેદન બાદ ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ની એન્ટ્રી! સોશિયલ મીડિયા પર નવું X એકાઉન્ટ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dimagi Naxal Janta Party : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'દિમાગી નક્સલ' વાળા નિવેદન બાદ શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ (@DNJP_India) નામનું એક નવું એકાઉન્ટ સામે આવ્યું છે. આ એકાઉન્ટ હાલમાં વિપક્ષના અગ્રણી નેતાઓ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને જાણીતી હસ્તીઓ સહિત કુલ 13 એકાઉન્ટ્સને ફોલો કરી રહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર આ પાર્ટીને લઈને ચર્ચાએ નવો વળાંક લીધો છે.
DNJPના ફોલોઅર્સ બન્યા જાણીતા નેતાઓ અને હસ્તીઓ
આ નવું એકાઉન્ટ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, યુટ્યુબર ધ્રુવ રાઠી, સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા, અભિનેતા પ્રકાશ રાજ અને ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરને ફોલો કરી રહ્યું છે. આ ઉપરાંત પોલિટિકલ કન્ટેન્ટ ક્રિએટર અર્પિત શર્મા, યુટ્યુબર શ્યામ મીરા સિંહ, રાજકીય વિશ્લેષક તરુણ ગૌતમ, ડૉ. નિમો યાદવ 2.0, પેરોડી એકાઉન્ટ રોફલ ગાંધી 2.0 અને કોકરોચ જનતા પાર્ટી જેવા એકાઉન્ટ્સ પણ તેની ફોલોઈંગ યાદીમાં સામેલ છે.
પ્રકાશ રાજની પોસ્ટ રીટ્વીટ કરીને સાધ્યું નિશાન
આ એકાઉન્ટ દ્વારા પ્રકાશ રાજની એક પોસ્ટ રીટ્વીટ કરવામાં આવી છે, જેમાં લોકોને કોઈપણ વાત આંખ મીંચીને સ્વીકારવાને બદલે પ્રશ્નો પૂછવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે ‘દિમાગી બનો.. મૂર્ખ નહીં. સવાલ કરો.. ગુલામી નહીં.’ વડાપ્રધાને સ્વાતંત્ર્ય પર્વના સંબોધનમાં 'દિમાગી નક્સલ' માનસિકતા ધરાવતા તત્વોનો ઉલ્લેખ કર્યો હતો, જેના વિરોધમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમએ પોતે ‘દિમાગી નક્સલ હોવા પર ગર્વ’ હોવાનું નિવેદન આપ્યું હતું.
કિરેન રિજિજુએ નિવેદન અંગે આપી હતી સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ અંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને વિપક્ષી નેતાઓ માટે આ શબ્દ વાપર્યો નથી. તેમણે ઉમેર્યું કે આ શબ્દ એવા લોકો માટે હતો જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે, ભારતીય બંધારણને નકારે છે, અલગતાવાદીઓ સાથે ઊભા રહે છે, આર્ટિકલ 370નું સમર્થન કરે છે કે પછી પૂર્વોત્તર ભારતને જોડતા 'ચિકન નેક' કોરિડોરને કાપવાની વકીલાત કરે છે. તેમણે શરજીલ ઈમામના એક જૂના નિવેદનનો વીડિયો પણ શેર કરીને આવા વિચાર ધરાવતા લોકોને 'દિમાગી નક્સલ' ગણાવ્યા હતા. આ તમામ રાજકીય પ્રતિક્રિયાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ નવા એકાઉન્ટે ચર્ચાને વધુ હવા આપી છે.









