Get The App

ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂઝિલેન્ડ 20 અબજ ડોલરનું રોકાણ કરશે ભારત 95 ટકા વસ્તુ પર ટેરિફ ઘટાડશે 1 - image

- આજે ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે

- 15 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં ન્યૂઝિલેન્ડ દ્વારા રોકાણ કરવામાં આવશે

- ન્યૂઝિલેન્ડના કોલસા, ઉન, બ્લૂબેરી, વાઇન સહિતની વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવા અથવા રદ કરવા નિર્ણય

નવી દિલ્હી : હોર્મુઝ ખાડીએ તંગદીલીને કારણે વિશ્વભરમાં તેની અસર જોવા મળી રહી છે, એવામાં ભારત અને ન્યૂઝિલેન્ડ વેપારને લઇને મહત્વપૂર્ણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જઇ રહ્યા છે. ૨૭મી એપ્રીલે થનારા આ એગ્રીમેન્ટમાં ન્યૂઝિલેન્ડ ભારતમાં રોકાણ કરશે જ્યારે ભારત ન્યૂઝિલેન્ડની વસ્તુઓ પર ટેરિફ ઓછો કરશે અથવા રદ કરી નાખશે વગેરે મુદ્દાઓને લઇને સમજૂતી કરવામાં આવી શકે છે. 

દિલ્હીમાં ભારત મંડપમમાં કોર્મસ અને ઇન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલ અને ન્યૂઝિલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં સોમવારે આ એગ્રીમેન્ટ થવા જઇ રહ્યા છે. લાંબા સમયથી આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે બન્ને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. આ ડીલનો ઉદ્દેશ્ય બન્ને દેશો વચ્ચેના વેપારને બેગણો કરવાનો છે. રિપોર્ટ મુજબ સોમવારે ભારત અને ન્યૂઝિલેન્ડ એફટીએ પર સાઇન કરશે, ગયા વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ આ મુદ્દે બન્ને દેશો વચ્ચે વાતચીત પૂર્ણ થઇ હતી. 

આ એગ્રીમેન્ટને કારણે ભારતીય કંપનીઓને ન્યૂઝીલેન્ડ ડયૂટી ફ્રી સુવિધા આપશે, એટલુ જ નહીં આગામી ૧૫ વર્ષોમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ પણ ભારતમાં આવશે. બીજી તરફ ભારત ન્યૂઝિલેન્ડને પણ કેટલોક ફાયદો કરાવશે, પ્રાપ્ત માહિતી અનુસાર આ કરારો મુજબ ભારત ન્યૂઝિલેન્ડની ૯૫ ટકા વસ્તુઓ પરનો ટેરિફ રદ કરશે અથવા તો ઓછો કરશે. આ વસ્તુઓમાંવૂલ, કોલસો, લાકડા, દારુ, એવોકાડો, બ્લૂબેરી વગેરેનો સમાવેશ થાય છે. ન્યૂઝિલેન્ડ આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે, આ રોકાણ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, ઇનોવેશન વગેરે ક્ષેત્રોમાં કરશે.