India

NEET-JEEમાં મોટા ફેરબદલ: કોલેજ એડમિશનમાં બોર્ડના માર્ક્સને 50 ટકા ભારણ આપવાની તૈયારી

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર NEET-JEE પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરી શકે છે. હવે મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે 12મા ધોરણના બોર્ડના માર્ક્સને 50% મહત્વ અપાશે. પેપર લીક અને ગડબડી જેવી ઘટનાઓ બાદ શિક્ષણ મંત્રાલયની 9 સભ્યોની કમિટીએ આ ભલામણ કરી છે. આ નિર્ણયથી કોચિંગ પર નિર્ભરતા ઘટશે અને વિદ્યાર્થીઓ પરનું દબાણ ઓછું થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NEET-JEEમાં મોટા ફેરબદલ: કોલેજ એડમિશનમાં બોર્ડના માર્ક્સને 50 ટકા ભારણ આપવાની તૈયારી

NEET-JEE Exams : મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન મેળવવા માટે લેવાતી NEET અને JEE જેવી મોટી પ્રવેશ પરીક્ષાઓના નિયમોમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો ફેરફાર કરી શકે છે. પીટીઆઈના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે એડમિશન આપવા માટે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના માર્ક્સને 50 ટકા મહત્વ આપવામાં આવી શકે છે. અત્યાર સુધી એડમિશન માત્ર એન્ટ્રન્સ ટેસ્ટના સ્કોર પર જ મળતું હતું, પરંતુ આ નવા ફેરફારથી વિદ્યાર્થીઓ પરથી કોઈ એક પરીક્ષાનું અતિશય દબાણ ઓછું થશે.

શા માટે લેવાઈ રહ્યો છે આ નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી એન્ટ્રન્સ પરીક્ષાઓમાં પેપર લીક અને માર્ક્સ ગણવામાં થયેલી ગડબડી જેવી અનેક ખામીઓ સામે આવી છે. આ ઘટનાઓને કારણે દેશની પરીક્ષા સિસ્ટમ પર સવાલો ઉભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ ફેરફાર દ્વારા વિદ્યાર્થીઓની કોચિંગ ક્લાસ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ સિવાય એન્ટ્રન્સ પરીક્ષાઓને સ્કૂલના સિલેબસ સાથે વધુ સારી રીતે જોડવા, વિદ્યાર્થીઓને એક કરતાં વધુ વખત પરીક્ષા આપવાની તક આપવા અને ભવિષ્યમાં ઓન-ડિમાન્ડ કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ તરફ આગળ વધવાની યોજના છે.

શિક્ષણ મંત્રાલયની કમિટી ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે
દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓમાં સુધારા કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા ગયા વર્ષે 9 સભ્યોની એક હાઈલેવલ કમિટી બનાવવામાં આવી હતી. આ સમિતિ એન્ટ્રન્સ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓમાં વધતા જતા ડમી સ્કૂલના ટ્રેન્ડની તપાસ કરી રહી છે. કમિટીએ ભલામણ કરી છે કે એન્ટ્રન્સ ટેસ્ટના પ્રશ્નો સ્કૂલના અભ્યાસક્રમ આધારિત જ હોવા જોઈએ. આ સમિતિ આગામી થોડા અઠવાડિયામાં પોતાનો આખરી રિપોર્ટ સરકારને સોંપી શકે છે.

શું છે JEE અને NEET પરીક્ષા?
સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) અને રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET) દેશની સૌથી અઘરી પરીક્ષાઓ ગણાય છે, જેમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ બેસે છે. ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા અને IIT કે NIT જેવી મોટી કોલેજોમાં એડમિશન મેળવવા માટે JEE આપવી પડે છે, જે મુખ્યત્વે ગણિત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર આધારિત હોય છે. જ્યારે ડૉક્ટર બનવા ઈચ્છતા અને MBBS કે BDSમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે NEET ફરજિયાત છે, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્નો પૂછવામાં આવે છે.