Ajit Pawar Plane Crash: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. NCP નેતા અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ આરોપ લગાવ્યો છે કે બારામતીમાં અજિત પવાર વિરુદ્ધ 'કાળો જાદુ' અને 'અઘોરી પૂજા' કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન ક્રેશમાં મહારાષ્ટ્રના તત્કાલીન ડેપ્યુટી સીએમ અને અન્ય ચાર લોકોના મોત થઈ ગયા હતા. અજિત પવારને પ્રેમથી 'દાદા' કહેવામાં આવતા હતા.
અમોલ મિટકરીના મુખ્ય દાવા અને આરોપ
અમોલ મિટકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરતા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
વિદ્યા પ્રતિષ્ઠાન પાસે અઘોરી પૂજા
મિટકરીએ દાવો કર્યો છે કે વિદ્યા પ્રતિષ્ઠાન એઆઈ બિલ્ડિંગના બાંધકામ સ્થળ નજીક મધ્યરાત્રિએ એક ભયાનક 'અઘોરી પૂજા' કરવામાં આવી હતી. 'દાદા' બીજા દિવસે સવારે આ નિર્માણાધીન બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે ત્યાં જવાના હતા.
કાટેવાડી સ્થિત નિવાસ બહાર ખૌફનાક મંજર
અન્ય એક પોસ્ટમાં સ્થાનિક લોકોના હવાલે મિટકરીએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પહેલા ખતલપટ્ટા કાટેવાડી વિસ્તારમાં અજિત પવારના બંગલા સામે એક બકરાને ઊંધો લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં એક બિહામણી તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.
મિટકરીએ તપાસકર્તાઓ પાસે જવાબદારીની માંગ કરતા સવાલ ઉઠાવ્યો કે, 'અંધશ્રદ્ધામાં માનનારા લોકોએ દાદા પર કેવી રીતે હુમલો કર્યો, જેઓ ખુદ અંધશ્રદ્ધાનો સખત વિરોધ કરતા હતા? આ ભયાનક સત્ય જનતાની સામે આવવું જ જોઈએ.' તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ડર અહીં જ ખતમ નથી થતો.
તપાસની વર્તમાન સ્થિતિ
અજિત પવારના મોતના કારણોની તપાસ હજુ પણ ચાલી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં CBI તપાસની માંગ પણ ઉઠાવવામાં આવી છે, જોકે હજુ સુધી તેના આદેશની રાહ જોવામાં આવી રહી છે.
સુનેત્રા પવારની ચિંતા અને બારામતી પેટાચૂંટણી
આ દુર્ઘટના બાદ બારામતી વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય માહોલ પણ ભાવુક અને ગરમાયો છે. બારામતીમાં એક ચૂંટણી રેલી દરમિયાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારે પોતાના પતિના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક વ્યક્તિને આ દુર્ઘટનાનો જવાબ મળવો જોઈએ અને જો આમાં કોઈ પણ દોષિત જણાશે, તો તેને સખતમાં સખત સજા મળવી જોઈએ.
આ પણ વાંચો: 'ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરું...', મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
બારામતીની એકતરફી ચૂંટણી
અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પરથી સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી ઘણી હદ સુધી એકતરફી માનવામાં આવી રહી છે, કારણ કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) અને કોંગ્રેસે દિવંગત નેતા પ્રત્યે સન્માન વ્યક્ત કરતા પોતાના ઉમેદવારોના નામ પરત ખેંચી લીધા છે.


