મુસ્લિમ પક્ષને નમાઝ માટે જગ્યા અપાશે, ધાર ભોજશાળા કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ; હાઈકોર્ટનો ચુકાદો પણ યથાવત્
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhar Bhojshala Case: સુપ્રીમ કોર્ટે સોમવારે (13મી જુલાઈ) ધાર ભોજશાળા વિવાદ મામલે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના અગાઉના નિર્ણય પર સ્ટે મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવી મુસ્લિમ પક્ષને મોટી વચગાળાની રાહત આપી છે.
દર શુક્રવારે નમાઝ માટે ખુલ્લી જગ્યા અપાશે
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ પક્ષને દર શુક્રવારે બપોરે 1થી 3વાગ્યા સુધી નમાઝ પઢવા માટે ભોજશાળા પરિસરની નજીક જ કોઈ યોગ્ય અને ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે જ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને તાકીદ કરી છે કે ઐતિહાસિક ઇમારતની વર્તમાન સ્થિતિ કે માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે. આ સંવેદનશીલ કેસની આગામી સુનાવણી હવે ત્રણ અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.
તમામ પક્ષકારોને નોટિસ, કેસનો ઝડપી નિકાલ કરવા પ્રયાસ
મુખ્ય ન્યાયાધીશ (CJI) ની આગેવાની હેઠળની ખંડપીઠે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર અન્ય પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ મામલાનો ઝડપથી ઉકેલ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે અને આગામી સુનાવણી તમામ પક્ષકારો માટે અનુકૂળ હોય તેવી વહેલી તકે યોજાશે.
મુસ્લિમ પક્ષના વકીલની દલીલો
અદાલતમાં મુસ્લિમ પક્ષ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, 'હાઇકોર્ટ દ્વારા અગાઉના આદેશને અચાનક જ ઉલટાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પૂરતી તક પણ મળી નહોતી. હાઇકોર્ટના આ નિર્ણયથી મુસ્લિમ સમુદાયને ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવ્યા છે, તેથી હાઇકોર્ટે પોતાના જ આદેશ પર અસ્થાયી રોક લગાવવી જોઈતી હતી.'









