India

આવશે તો મોદી જ : ભાજપની ઇચ્છાપૂર્તિમાં કમલનાથ ઉપરાંત વિપક્ષના ચાર વધુ નેતાઓ સહયોગ કરી રહ્યા છે

By GS Team
20 Feb 20242 mins read
This article was originally published on 20 Feb 2024
આવશે તો મોદી જ : ભાજપની ઇચ્છાપૂર્તિમાં કમલનાથ ઉપરાંત વિપક્ષના ચાર વધુ નેતાઓ સહયોગ કરી રહ્યા છે

- નીતીશ અને જયંત ચૌધરી તો ''ઇન્ડિયા'' બ્લોકને પડકાર આપતા હતા : જાણે બધા કહી રહ્યા છે કે આવશે તો મોદી જ

નવી દિલ્હી : ''આવશે તો મોદી જ '' ૨૦૧૯ની જેમ જ ફિર એક બાર મોદી સરકારનું સ્લોગન પેટ પકડી રહ્યું છે. એવું લાગે છે કે ભાજપ જ નહીં, વિપક્ષો પણ અંદરખાને માની રહ્યા છે કે હવે ફરી મોદી સરકાર આવશે.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બે દીવસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કહ્યું આગામી ૧૦૦ દીવસ સખત મહેનત કરવી પડશે. સરકારમાં ત્રીજી ટર્મ, સત્તા ભોગવવા માટે નથી, ભારતને વિકસિત કરવા માટે છે.

'ઇંડીયા' બ્લોક જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એક વખત તો તેમ લાગ્યું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ જેવી નહીં રહેતા ભાજપ માટે સીધા ચઢાણ જેવી બની રહેશે. ત્યારે નીતીશકુમારે પણ જોશમાં આવી કહી દીધું હતું કે ૨૦૧૪માં આવ્યા હતા, પરંતુ ૨૦૨૪માં આવશે કે નહીં ? કોણ જાણે તે પછી તેઓ સતત તે વાત કરી રહ્યા હતા પરંતુ અચાનક પલટી મારી દીધી.

આ પછી એક પછી એક મોટા માથાઓ ભાજપમાં ભળી રહ્યા છે. બીજી તરફ ઇંડીયા ગઠબંધનમાં એવાં તડાં પડી રહ્યા છે કે રાજકીય વિશ્લેષકોને તો એક બાજુ મુકો, સમાન્ય ભણેલો નાગરિક પણ હવે કહી રહ્યો છે કે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ ?

આ પરિસ્થિતિમાં જનસામાન્ય સમક્ષ ભાજપ એકમાત્ર વિકલ્પ રહે તે સહજ છે. ઠીક છે અન્ય પક્ષો અહીં તહીં કૈં ઓછી વત્તી સીટો મેળવે, પરંતુ નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ ભાજપને આગામી લોકસભામાં ૩૭૦ જેટલી બેઠકો મળે તો તેમાં આશ્ચર્ય જેવું કશું નહીં લાગે. તેમ કેટલાકનું એવું માનવું છે. નિરીક્ષકો હવે માત્ર તેટલું જ કહે છે કે થોભો અને રાહ જુઓ. હવે આશરે એક સો દિવસ જ બાકી છે.