'વિશ્વભરના મુસ્લિમો માટે મક્કાનું વિશેષ મહત્ત્વ', પવિત્ર સ્થળ પાસે ડ્રોન એટેકથી ભારત ચિંતિત, શાંતિની અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Condemns Mecca Attack : સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાને લઈને ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) જણાવ્યું કે, સાઉદી અરેબિયાની સાર્વભૌમ સીમા પર થતાં હુમલાઓ તેમજ સામાન્ય નાગરિકોના જીવન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકતી આવી ઘટનાઓની ભારત આકરા શબ્દોમાં નિંદા કરે છે.
પવિત્ર શહેર મક્કા નજીકની ઘટના અત્યંત ચિંતાજનક
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મક્કા નજીક બનેલી આ ઘટના વિશેષ રૂપે ચિંતાજનક છે, કારણ કે સમગ્ર વિશ્વના કરોડો મુસ્લિમો માટે આ શહેરનું અદકેરું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. સામાન્ય જનજીવન અને નાગરિક સુવિધાઓને નિશાન બનાવતી કોઈપણ હિંસા સ્વીકાર્ય નથી.’
ભારતે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. રણધીર જયસ્વાલે આશા વ્યક્ત કરી હતી કે, સમગ્ર ક્ષેત્રમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બનશે અને શાંતિ તથા સ્થિરતા પુનઃસ્થાપિત થશે.
હુમલાઓમાં 13 સામાન્ય નાગરિકો ઘાયલ
સાઉદી અરેબિયા અને હૂથી વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે. હૂથી જૂથે દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત, અબહા અને તાઈફ જેવા શહેરોમાં નાગરિક અને સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી નવા મિસાઈલ તેમજ ડ્રોન હુમલા કર્યા હતા. આ તાજેતરના હુમલાઓમાં 13 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે, રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને કિંગ ખાલિદ એરબેઝ નજીક આગ લાગવાની ઘટના પણ સામે આવી છે.




