Get The App

મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
Manipur violence

Manipur violence: મણિપુરના કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ફરીથી મોટો તણાવ ઊભો થયો છે. આ મૃતદેહ ગત 13 મેના રોજ કોન્શાખુલથી પાછા ફરતી વખતે અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની આશંકા છે. 

મણિપુર પોલીસ, CRPF અને આસામ રાઇફલ્સના 450 જવાનોની 15 ટીમોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમની મદદથી સતત 24 કલાક સુધી મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન પછી બુધવારે બપોરે આ લાશ મળી આવી હતી. જોકે, મૃતદેહ એટલી હદે સડી ગયા છે કે તેને માત્ર જોઈને ઓળખવા મુશ્કેલ છે. મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. હવે આ લોકોની સાચી ઓળખ કરવા માટે મૃતદેહને ઇમ્ફાલની JNIMS અને RIMS હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

શવ મળતા જ હોસ્પિટલ બહાર હોબાળો અને ટીયર ગેસના સેલ છોડાયા

લેઇલોન વૈફેઈ ગામમાંથી શવ મળવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં જ નાગા સમુદાયના લોકો અને મૃતકોના સંબંધીઓ મોટી સંખ્યામાં  JNIMS અને RIMS હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. ધીમે-ધીમે આ ભીડ ઉગ્ર બનવા લાગી હતી અને હોસ્પિટલને ઘેરી લીધી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે તાત્કાલિક બેરિકેડ્સ લગાવી દીધા હતા અને ઉગ્ર બનેલી ભીડને વિખેરવા માટે  ટીયર ગેસ છોડવો પડ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે બુધવાર સાંજે સેનાપતિ જિલ્લામાં એક ઉગ્ર ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી, જોકે સદનસીબે આ આગજનીમાં કોઈ જાનહાનિ થઈ નથી.

13 મેની એ ઘટના: શું હતો સમગ્ર મામલો?

પરિવારજનો અને અલગ-અલગ સંગઠનોના જણાવ્યા મુજબ, લાપતા થયેલા આ છ નાગા પુરુષોના નામ મનુ થિયુમાઈ, કેનપીબૌ, ફેનરોન્ગવી થિયુમાઈ, દિલીપ થિયુમાઈ, કાલિવાન્ગબૌ અબોનમાઈ અને સીએચ ફેનરીલુંગ છે. આ તમામ લોકો ગત 13 મેના રોજ કોન્શાખુલથી પાછા આવી રહ્યા હતા, ત્યારે લેઇલોન વૈફેઈ ગામ પાસેથી અચાનક ગાયબ થઈ ગયા હતા.

આ પણ વાંચો: E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય

વાસ્તવમાં આ આખો મામલો 13 મેના રોજ નોની અને કાંગપોકપી જિલ્લામાં ફાટી નીકળેલી હિંસા સાથે જોડાયેલો છે. તે દિવસે ત્રણ પાદરીઓ સહિત ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી નાગા અને કુકી સમુદાય વચ્ચે તણાવ વધી ગયો અને બંને તરફથી કુલ 44થી 48 લોકોને બંધક બનાવી લેવાયા હતા. તેમાંથી મહિલાઓ અને બાળકો સહિત કેટલાક લોકોને શરૂઆતમાં જ છોડી દેવાયા હતા. ત્યારબાદ, સરકારે નાગા લોકોને સુરક્ષિત પાછા લાવવાનો ભરોસો આપ્યો એટલે નાગા સંગઠનોએ પણ દયા રાખીને પોતાના કબજામાં રહેલા કુકી સમુદાયના 14 લોકોને મંગળવારે મુક્ત કરી દીધા હતા. પરંતુ તેના બીજા જ દિવસે આ છ નાગા નાગરિકોના મૃતદેહ મળી આવ્યા. લિયાન્ગમાઈ નાગા કાઉન્સિલના પ્રમુખ ટિમોથીએ ભારે દુઃખ સાથે જણાવ્યું કે, આ ક્રૂર હત્યાથી અમારો આખો સમુદાય આઘાતમાં છે.

UNC દ્વારા 24 કલાકના બંધનું એલાન 

આ ભયાનક હત્યાકાંડ સામે નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા 'યુનાઇટેડ નાગા કાઉન્સિલ' (UNC)એ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને નાગા પ્રભુત્વવાળા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ નાગા સંગઠને રાજ્યના ડેપ્યુટી સીએમ નેમચા કિપગેનને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની આકરી માગ કરી છે. સંગઠનનો આરોપ છે કે ડેપ્યુટી સીએમ નેમચા કિપગેન એ 'કુકી નેશનલ ફ્રન્ટ-પી' (KNF-P)ના પ્રમુખ સેમટિનથાંગ કિપગેનના પત્ની છે. 

આ સંગઠન સરકાર સાથે 'સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ' (SoO) સમજૂતી હેઠળ સામેલ એક કુકી બળવાખોર જૂથ છે અને નાગા સંગઠનને શંકા છે કે આ હત્યાકાંડમાં આ જ જૂથની મિલીભગત છે. UNCએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ શવ સ્વીકારશે નહીં. આ ઉપરાંત તેમણે કુકી બળવાખોરો સાથેના સરકારના તમામ 'SoO કરાર' રદ કરવાની પણ માગ કરી છે.

કેસની તપાસ NIAને સોંપાઈ: મુખ્યમંત્રી 

મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે શસ્ત્રધારી ઉગ્રવાદીઓ દ્વારા નિર્દોષ નાગા ગ્રામીણોના અપહરણ અને હત્યાની આકરી નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર આવા ક્રૂર કૃત્યોને ક્યારેય સહન નહીં કરે અને મામલાની ગંભીરતાને જોતા આ સમગ્ર કેસની તપાસ NIAને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તામિંગલોન્ગ જિલ્લાના તમેઈ પોલીસ સ્ટેશન હેઠળના લાન્સન કુકી ગામના એક નિર્દોષ ખેડૂતની અજાણ્યા બદમાશો દ્વારા કરવામાં આવેલી હત્યાની પણ નિંદા કરી છે. 

આ પણ વાંચો: સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને મંજૂરીથી લોકો ચિંતિત

મેઘાલયના સીએમની પ્રતિક્રિયા

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ ઘટનાને અત્યંત અસ્વીકાર્ય અને કમનસીબ ગણાવી છે. સંગમાએ એક દિવસ પહેલા જ નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયો અને ચર્ચ સંગઠનો સાથે મળીને 14 કુકી નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરાવી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે નાગા સંગઠને શાંતિ માટે સદ્ભાવના દાખવી ત્યારે તેની સામે આવી હિંસા થવી એ અત્યંત ચિંતાજનક છે. કાયમી શાંતિ માત્ર પરસ્પર સન્માન અને વાતચીતથી જ શક્ય બનશે. આ ઘટના બાદ શીર્ષ કુકી સંગઠન 'કુકી ઇનપી મણિપુર' (KIM)એ પણ ઊંડો શોક વ્યક્ત કરીને આ મામલે નિષ્પક્ષ કાયદાકીય તપાસની માગ કરી છે.