મમતા બેનર્જીએ બળવાખોરોનું ટેન્શન વધાર્યું : TMCના બાકી બચેલા નેતાઓને 21 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mamata Banerjee Warns TMC Leaders : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં રાજીનામાનો સિલસિલો અટકી રહ્યો નથી. હવે ગુરુવારે રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોયલે 6 એપ્રિલના રોજ રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા હતા. શપથ લીધાના માત્ર 101 દિવસ બાદ તેમણે રાજીનામું આપી દીધું છે.
પક્ષપલટો કરનારાઓને મમતાની કડક ચેતવણી
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને જાણીતા બંગાળી અભિનેત્રી રુક્મિણી મલ્લિક ઉર્ફે કોયલ મલ્લિકના રાજીનામા બાદ મમતા બેનર્જીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની પાર્ટી TMCના બાકી રહેલા નેતાઓને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જે લોકો પાર્ટી છોડવા માંગે છે, તેઓ 21 જુલાઈ પહેલા જ જતા રહે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે, ઘણા નેતાઓ પર રાજકીય દબાણ લાવીને તેમને પક્ષપલટો કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'આજે જે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું અને ભાજપના એક નેતા સાથે મુલાકાત કરી, તેમનો હું આભાર માનું છું. તેમણે પહેલા જ ઈમેલ દ્વારા મને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી હતી. જે લોકો પાર્ટી છોડવા માંગે છે, તેઓ 21 જુલાઈ પહેલા છોડી દે. ત્યારપછી તૃણમૂલ કોંગ્રેસ એક નવા માર્ગ પર આગળ વધશે.'
પક્ષ પલટા માટે બનાવાઈ રહ્યું છે દબાણ: મમતા
TMC સુપ્રિમોએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ઘણા લોકો પર પક્ષ પલટો કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમને મજબૂર કરવામાં આવી રહ્યા છે. અહીં સુધી કે, શહીદ દિવસ કાર્યક્રમમાં સામેલ થનારા શહીદોના પરિવારોને પણ પોલીસ દ્વારા બીજા જૂથમાં જોડાવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 21 જુલાઈ પછી તૃણમૂલ કોંગ્રેસ નવા સંકલ્પ અને નવી રણનીતિ સાથે આગળ વધશે.
પશ્ચિમ બંગાળમાં દર વર્ષે 21 જુલાઈના રોજ TMCનો શહીદ દિવસ કાર્યક્રમ યોજાય છે, જેને પાર્ટીના સૌથી મોટા રાજકીય આયોજનોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસ 1993માં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 13 યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે.
TMCના 4 રાજ્યસભા સાંસદો આપી ચૂક્યા છે રાજીનામું
કોયલ મલ્લિકના રાજીનામા સાથે જ, રાજ્યસભામાંથી રાજીનામું આપનારા TMC સાંસદોની સંખ્યા હવે 4 થઈ ગઈ છે. આ પહેલા સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈક પણ ઉચ્ચ સદનની સદસ્યતા છોડી ચૂક્યા છે. સતત થઈ રહેલા રાજીનામાને કારણે રાજ્યસભામાં TMCના સભ્યોનું સંખ્યાબળ ઘટી ગયું છે. પહેલા ઉચ્ચ સદનમાં પાર્ટીના 13 સભ્યો હતા, જે હવે ઘટીને માત્ર 9 રહી ગયા છે.









