Get The App

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ 1 - image

Mamata Banerjee At Calcutta High Court: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને ગુરુવારે કોલકાતા હાઈકોર્ટ પરિસરમાં ભારે વિરોધ અને સૂત્રોચ્ચારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પછીની કથિત હિંસા સંબંધિત એક કેસમાં દલીલ કરવા પહોંચેલા મમતા બેનરજી જ્યારે કોર્ટરૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે વકીલોના એક જૂથે તેમને ઘેરી લીધા હતા અને તેમની સામે 'ચોર-ચોર' ના નારા લગાવ્યા હતા.

'બંગાળ કોઈ ‘બુલડોઝર સ્ટેટ’ નથી'

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સૂત્રોચ્ચાર દરમિયાન કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મમતાએ વકીલો તરફ ઈશારો કરતા કહ્યું કે આ લોકોએ મને મારી છે. કોર્ટમાં મમતા બેનરજીએ કહ્યું કે બંગાળ કોઈ ‘બુલડોઝર સ્ટેટ’ નથી અને કાયદાના દાયરામાં રહીને જ કાર્યવાહી થવી જોઈએ.


રાજકીય બદલાની ભાવનાથી કેસનો ન જોવા જોઈએ

તેમણે એમ પણ કહ્યું કે રાજકીય બદલાની ભાવનાથી કેસોને જોવા જોઈએ નહીં. બીજી તરફ પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તમામ ઘટનાઓ ચૂંટણી પછી થઈ નથી. આ સાથે જ તમામ કેસોમાં આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિંસા સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી પર સુનાવણી

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે મુખ્ય ન્યાયાધીશ સુજય પાલની બેન્ચ સમક્ષ ચૂંટણી પછીની હિંસા સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી પર સુનાવણી હતી. વકીલ શીર્ષાન્ય બેનરજી દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં મમતા બેનરજી પોતે એડવોકેટ તરીકે દલીલ કરવા સવારે લગભગ 11 વાગ્યે હાઈકોર્ટ પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ બંગાળમાં ભાજપ પ્રથમ વખત સત્તા પર આવ્યું છે. ચૂંટણી પરિણામો બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસા, આગચંપી અને રાજકીય હુમલાના આક્ષેપો થયા હતા, જે અંગે હાઇકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

TMCએ મમતાને ગણાવ્યા યોદ્ધા

તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે મમતા બેનરજીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ બંગાળના લોકોને મુશ્કેલ સમયમાં ક્યારેય એકલા છોડતા નથી. પાર્ટીએ કહ્યું કે સત્ય, ન્યાય અને બંધારણીય મૂલ્યોની લડાઈમાં તેઓ સતત અગ્રેસર રહે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ 'વર્ક ફ્રોમ હોમ': CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ કરી અપીલ

મમતાએ વર્ષ 1982માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો

નોંધનીય છે કે મમતા બેનરજીએ વર્ષ 1982માં જોગેશ ચંદ્ર લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની પાસે આર્ટસમાં સ્નાતક, બી.એડ અને અનુસ્નાતકની ડિગ્રીઓ પણ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોર્ટમાં મમતા બેનરજીની આ સક્રિય હાજરી માત્ર કાયદાકીય જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો સંદેશ આપનારી છે. બીજી તરફ ભાજપના નેતાઓએ તેને ‘રાજકીય નાટક’ ગણાવીને ચૂંટણી પછીની હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ ફરી ઉઠાવી છે.