India

દ્વારકાધીશ મંદિરના શિખર પર વીજળી પડી, ધજા ખંડિત

By GS Team
13 Jul 20211 min read
This article was originally published on 13 Jul 2021
દ્વારકાધીશ મંદિરના શિખર પર વીજળી પડી, ધજા ખંડિત

ભારે ગાજવીજ, તોફાની પવન સાથે વીજળીના ચમકારા

કોપરના વાયરનું અર્થિંગ ગોઠવ્યું હોવાથી વીજળી સડસડાટ જમીનની અંદર ઉતરી ગઇ, સાડા ત્રણ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબોળ

દ્વારકા : દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગ વિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર આજે બપોરે ગાજ વીજ સાથે વીજળી પડી હતી. ભારે પવન અને વરસાદી માહોલમાં  મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડતા ધજા ખંડિત થઇ હતી.

અલબત એ સિવાય બીજુ કોઇ નુકશાન મંદિરને થયું ન્હોતું. મંદિરના શિખર ધ્વજ ઉપર વીજ નિયંત્રણ માટે કોપર વાયર લગાવવામાં આવ્યા હોવાથી વીજળીનો કરંટ સડસડાટ જમીનમાં ઉતરી ગયો હતો. 

દ્વારકામાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગનો પ્રારંભ થતાં ચારે બાજુ શેરીઓમાં જળબંબોળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માત્ર એક કલાકના સમયગાળામાં જ મેઘરાજાએ ત્રણ ઇંચ જેટલો  વરસાદ વરસાવી દીધો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે ગાજવીજ અને જોરદાર પવન ફુકાવવા લાગ્યા બાદ દ્વારકાધીશ મંદિર ઉપર વીજળીના ચમકારા જોવા મળ્યા હતા.

મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડતા કોપરના આૃર્થીંગ વાયર મારફતે સડસડાટ જમીનમાં ઉતરી જતા મોટુ નુકશાન થતું અટકયું હતું. મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે, દ્વારકામાં મેઘરાજાની પધરામણી સાથે આજે વીજળી મંદિરના શિખર ધ્વજ ઉપર ત્રાટકી હતી પરંતુ મોટુ નુકશાન થયું નથી. માત્ર ચારે બાજુ ફરફરતી ધજા ખંડિત થઇ છે.