Kejriwal Seeks Judge’s Recusal, Verdict Reserved : દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જસ્ટિસ શર્મા RSS સાથે જોડાયેલ વકીલોની સંસ્થા 'અધિવક્તા પરિષદ'ના કાર્યક્રમોમાં ચાર વખત હાજરી આપી ચૂક્યા છે. કેજરીવાલે દલીલ કરી હતી કે તેઓ પોતે ભાજપ-આરએસએસની વિચારધારાના વિરોધી હોવાથી તેમને આ ન્યાયાધીશ પાસે નિષ્પક્ષ ન્યાય મળશે કે કેમ તે બાબતે શંકા છે.
કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, એક કાર્યશીલ લોકશાહીમાં ધારણા ખૂબ મહત્વની હોય છે. જો કોઈ ન્યાયાધીશ કોઈ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેતા હોય, તો વિરોધી વિચારધારા ધરાવતા આરોપીના મનમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે. તેમણે સીબીઆઈ અને ઈડીની તપાસને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી.
કોર્ટની બેન્ચે સવાલ કર્યો કે જે કાર્યક્રમમાં જજના હાજર રહેવાનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો તેની કોઈ લિન્ક તમારી પાસે છે? તે કાર્યક્રમમાં જજે કોઈ રાજકીય નિવેદન આપ્યું હતું? કે પછી આ એક બંધારણીય કાર્યક્રમ હતો? જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે મને જજ કાર્યક્રમમાં હાજર રહ્યા તે વાતથી જ આશંકા થાય છે.
કોર્ટની પ્રશંસા અને કેજરીવાલનો જવાબ
દલીલોના અંતે જસ્ટિસ શર્માએ કેજરીવાલની દલીલ કરવાની શૈલીના વખાણ કર્યા અને કહ્યું કે, તમે ખૂબ સારી દલીલ કરી, તમે વકીલ પણ બની શકો છો. જેના પર કેજરીવાલે સ્મિત સાથે જવાબ આપ્યો કે, આભાર મેડમ, પણ હું અત્યારે જે કરી રહ્યો છું તેનાથી ખુશ છું.
જસ્ટિસ શર્માએ કહ્યું કે મને જિંદગીમાં પહેલીવાર કોઈએ કેસથી અલગ થવાની દલીલ કરી છે, પણ આનાથી પણ મને ઘણું શીખવા મળ્યું.
જે બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કેજરીવાલ પર શું છે કેસ?
ટ્રાયલ કોર્ટે 27 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને સિસોદિયાને ક્લીનચીટ આપી હતી, જેની વિરુદ્ધ સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરી છે.


