દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા ફરી મુશ્કેલીમાં ! CBIની અરજી પર હાઈકોર્ટે આપી છેલ્લી તક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Excise Policy Case : દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતાઓ એવા, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને અંતિમ તક આપી છે. કોર્ટે ત્રણેય નેતાઓને સીબીઆઈની તે અરજી પર 2 સપ્તાહની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં તેમને નીચલી અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
વકીલોની હડતાળને કારણે સુનાવણી ટળી
જસ્ટિસ મનોજ જૈનની ખંડપીઠે આ મામલાની સુનાવણી ટાળી દીધી હતી, કારણ કે દિલ્હી હાઈકોર્ટના વકીલોની હડતાળ (કાર્ય બહિષ્કાર)ને કારણે નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓ વતી કોઈ પણ વકીલ કોર્ટમાં હાજર થઈ શક્યા ન હતા. હવે આ કેસમાં સીબીઆઈની દલીલો સાંભળવા માટે કોર્ટે 17 અને 18 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
સીબીઆઈ દ્વારા ઝડપી સુનાવણીની માંગ
સીબીઆઈ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ પાસે ઝડપી સુનાવણીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ નેતાઓને અગાઉ પણ જવાબ દાખલ કરવા માટે ઘણી તકો આપવામાં આવી ચૂકી છે, અને આ કારણે આ કેસમાં પહેલાથી જ ઘણો વિલંબ થઈ ચૂક્યો છે.
આના પર જસ્ટિસ જૈને જણાવ્યું કે, ન્યાયના હિતને ધ્યાનમાં રાખીને તેમને જવાબ દાખલ કરવા માટે આ એક છેલ્લી અને અંતિમ તક આપવામાં આવી રહી છે. જો તેઓ ઈચ્છે તો 2 સપ્તાહની અંદર પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરી શકે છે.
જજે કહ્યું- મારી પાસે સાંસદો/ધારાસભ્યોના ઘણા કેસો પેન્ડિંગ છે
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ઓગસ્ટના બદલે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતની કોઈ તારીખ આપવા વિનંતી કરી હતી. જો કે, જસ્ટિસ મનોજ જૈને અસમર્થતા દર્શાવતા કહ્યું કે, તેમની પાસે પહેલાથી જ સાંસદો અને ધારાસભ્યો (MP/MLA) સાથે જોડાયેલા ઘણા અન્ય કેસો પેન્ડિંગ છે, તેથી તાત્કાલિક સમય ફાળવવો શક્ય નથી. તેમ છતાં, તેમણે આશ્વાસન આપ્યું હતું કે, તેઓ તારીખ વહેલી કરવાની શક્યતાઓ પર ફરીથી વિચાર કરશે.
શું છે સમગ્ર મામલો?
27 ફેબ્રુઆરી 2026: દિલ્હીની એક નીચલી અદાલતે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય 21 આરોપીઓને દારૂ નીતિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ કેસ ન્યાયિક સમીક્ષાના માપદંડ પર ટકી શકે તેમ નથી.
9 માર્ચ 2026: સીબીઆઈ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી હતી. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની ખંડપીઠે નીચલી અદાલતના તે આદેશ પર રોક લગાવી દીધી હતી, જેમાં સીબીઆઈના તપાસ અધિકારી સામે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી.
વિવાદ: અરજી પર સુનાવણી દરમિયાન કેજરીવાલ અને અન્ય નેતાઓએ જજ (જસ્ટિસ શર્મા) પર પક્ષપાતનો આરોપ લગાવીને કેસમાંથી હટી જવાની માંગ કરી હતી.
સત્યાગ્રહ અને અવમાનના
અરજી ફગાવી દીધા બાદ આપ (AAP)ના નેતાઓએ કોર્ટને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ સુનાવણીમાં સામેલ નહીં થાય અને 'ગાંધીવાદી સત્યાગ્રહ' નો માર્ગ અપનાવશે. આ પછી, તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કોર્ટની અવમાનના ગણીને જસ્ટિસ શર્માએ આરોપીઓ સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી, અને કેસ બીજી બેન્ચ (જસ્ટિસ મનોજ જૈનની ખંડપીઠ) ને ટ્રાન્સફર કર્યો હતો.
શા માટે હડતાળ પર છે હાઈકોર્ટના વકીલ?
દિલ્હી હાઈકોર્ટના વકીલો આગામી જિલ્લા અદાલતોના આર્થિક અધિકારક્ષેત્રને 2 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવાના પ્રસ્તાવના વિરોધમાં 14 જુલાઈથી કામનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે ગુરુવારે સુનાવણી દરમિયાન કોઈ વકીલ હાજર રહી શક્યા ન હતા.









