સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટકળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હત્ત્વ
Karnataka Political Crisis : કર્ણાટક કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો સત્તાની ભાગીદારીનો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી નવી માહિતી અનુસાર, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. આ મોટા રાજકીય ઘટનાક્રમ વચ્ચે સિદ્ધારમૈયા હાલમાં તેમના નજીકના મંત્રીઓ સાથે એક અત્યંત મહત્ત્વની બેઠક કરી રહ્યા છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
હાઇકમાન્ડે આપી દિલ્હીમાં મોટી જવાબદારીની ઓફર
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને (CM Siddaramaiah) મુખ્યમંત્રી પદ છોડવા માટે જણાવવામાં આવ્યું છે. તેના બદલામાં પક્ષ તેમને રાજ્યસભામાં મોકલવા અને દિલ્હીમાં કોઈ મોટી તેમજ મહત્ત્વની જવાબદારી સોંપવાની તૈયારી બતાવી ચૂક્યું છે. જોકે, અહેવાલો મળી રહ્યા છે કે રાજ્યસભામાં જવા માટે સિદ્ધારમૈયા હજુ પૂરી રીતે સહમત થયા નથી અને આ જ કારણે તેમના નજીકના સાથીઓ સાથે મંથન ચાલી રહ્યું છે.
અગાઉ દિલ્હીની બેઠકમાં કોંગ્રેસે અટકળો નકારી હતી
આ અહેવાલો પહેલાં મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક હાઇ-વોલ્ટેજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર (DK Shivakumar) સાથે સંયુક્ત તેમજ વન-ટુ-વન મુલાકાતો કરી હતી. બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે મીડિયા સમક્ષ સત્તા પરિવર્તનની તમામ વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ મેરેથોન બેઠક માત્ર આગામી રાજ્યસભા અને વિધાન પરિષદ(MLC)ની ચૂંટણીઓની વ્યૂહરચના ઘડવા માટે જ બોલાવવામાં આવી હતી. ખુદ સિદ્ધારમૈયાએ પણ કેબિનેટ વિસ્તરણ કે નેતૃત્વ પરિવર્તનની વાત નકારીને બેંગલુરુ રવાના થઈ ગયા હતા.
પડદા પાછળની વાસ્તવિકતા હવે આવી સામે
દિલ્હીની બેઠકમાં ભલે નેતાઓએ જાહેરમાં મૌન જાળવ્યું હતું અથવા ચર્ચાઓને નકારી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધારમૈયા પર પદ છોડવા માટેનું દબાણ સતત વધી રહ્યું હતું. સૂત્રોના મતે આ સમગ્ર વિવાદના ઉકેલમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સક્રિય હતા અને તેઓ રાજ્યમાં નેતૃત્વ બદલવાના પક્ષમાં હોવાનું મનાતું હતું. હવે જ્યારે તાજેતરના સૂત્રો દ્વારા સિદ્ધારમૈયાના રાજીનામાની તૈયારીઓ અને મંત્રીઓ સાથેની કટોકટીની બેઠકોના અહેવાલ સામે આવ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે કર્ણાટકના આગામી સીએમ તરીકે ડી.કે. શિવકુમારની તાજપોશી ક્યારે થાય છે.
આ પણ વાંચો : ‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ









