નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓ સહિત 32 લોકોના હત્યા કેસમાં 13 વર્ષે ન્યાય: NIA કોર્ટે 10ને દોષિત ઠેરવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NIA Court on Chhattisgarh Naksal Attack Case: છત્તીસગઢના ચર્ચિત ઝીરમ ઘાટી નક્સલી હુમલા મામલે 13 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે આ મામલે સુનાવણી પૂરી કરીને ધરપકડ કરાયેલા તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યાં છે. કોર્ટે દોષિતોની સજાની જાહરાત પણ કરી છે. આ મામલે ઘણાં સમયથી ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો કોર્ટના ચુકાદાથી ખુશ જોવા મળ્યા છે.
આ કેસની સુનાવણી NIAની વિશેષ અદાલતના જજ અજયસિંહ રાજપૂતની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. અંતિમ દલીલ માટે જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ 10 કેદીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે. કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવતા સજાની જાહેરાત કરી છે. આ પહેલાં અંતિમ દલીલ પૂરી થયા બાદ નિર્ણયની તારીખ બે વખત બદલવામાં આવી હતી. પહેલા નિર્ણય 31 ઓગષ્ટે સંભળાવવામાં આવવાનો હતો, પરંતુ બાદમાં તારીખ બદલીને 5 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
25 મે, 2013ના રોજ થયો હતો હુમલો
આ મામલે ફરિયાદી પક્ષે પોતાનો મજબૂત પક્ષ રાખવા માટે કુલ 101 સાક્ષીઓનું નિવેદન નોંધ્યું છે. તેની સામે બચાવ પક્ષ તેમની નિર્દોષતા સાબિત કરવા માટે કોર્ટમાં એક પણ સાક્ષી બોલાવી શક્યું નહોતું. આ 13 વર્ષોમાં કુલ 294 વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 25 મે, 2013ના રોજ છત્તીસગઢના બસ્તર સંભાગમાં કોંગ્રેસે પરિવર્તન યાત્રા કાઢી હતી. જ્યારે નેતાઓનો કાફલો ઝીરમ ઘાટી તરફથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાહ જોઈને બેઠેલા સેંકડો માઓવાદીઓએ ચારેબાજુથી તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ હુમલામાં 32 લોકોના મોત
આ હુમલામાં કુલ 32 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 38 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, NIAએ તેમની ચાર્જશીટમાં સત્તાવાર રીતે મોતનો આંકડો 27 ગણાવ્યો છે. આ નક્સલી હુમલામાં કોગ્રેસના મોટા નેતાઓ નિશાના પર હતા. આ હુમલામાં કેટલાક જાણીતા નેતાઓના સુરક્ષાકર્મીઓ પણ મોતને ભેટ્યા હતા. જેમાં તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલ, પૂર્વ મંત્રી મહેન્દ્ર કર્મા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લ સામેલ હતા. NIAએ 2015માં કોર્ટમાં અંદાજે 1000 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.




