Jharkhand Air Ambulance Crash: ઝારખંડમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર ઍમ્બ્યુલન્સ ચતરા જિલ્લામાં ક્રેશ થઈ હતી. જે બાદ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે.
રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. જે બાદ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું.ચતરાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે 7.30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ સિમરિયા વિસ્તારના બરિયાતુમાં તે ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ 7 લોકોના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે.
કેમ રાંચીથી દિલ્હી જઈ રહ્યું હતું વિમાન?
નોંધનીય છે કે સંજય કુમારના એક દર્દી 65 ટકા દાઝી ગયા હતા. રાંચીની દેવકમલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પાયલોટે કેમ કરી હતી રૂટ બદલવાની માંગ?
રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારને પ્લેન ક્રેશ પાછળ ખરાબ વાતાવરણ કારણભૂત હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ વાતાવરણના કારણે પાયલોટે રૂટ બદલવા વિનંતી કરી હતી. પાયલોટે કોલકાતા ATCને રિક્વેસ્ટ કરી હતી. જોકે તે બાદ 7.34 વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો. નોંધનીય છે કે હાલમાં જ બારામતીમાં વિમાન દુર્ઘટના થઈ હતી. એવામાં આ ક્રેશથી ભારતની એવિએશન સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થાય છે.


