Get The App

ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ 1 - image

India On Hormuz Strait Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.

ઈરાને જહાજ પર હુમલો કર્યો, તમામ ભારતીય નાવિકો સુરક્ષિત

જળમાર્ગ મંત્રાલયે કહ્યું કે, ઈરાની કોસ્ટ ગાર્ડે 25 એપ્રિલે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહેલા ટોંગો ધ્વજવાળા જહાજ ‘એમટી સિરોન’ પર ફાયરિંગ કર્યું હતું. આ જહાજ પર અનેક ભારતીયો સવાર હતા. મંત્રાલયના અધિકારી મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, ‘ઈરાને ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું. જહાજ પર સવાર તમામ 17 ભારતીય નાવિકો સંપૂર્ણ સુરક્ષિત છે.

ઈરાને ભારતીય જહાજો પર કર્યો હતો હુમલો

ઈરાને 22 એપ્રિલે હોર્મુઝ જળમાર્ગમાંથી જઈ રહેલા એક જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. આ પહેલા 18 એપ્રિલે પણ ઈરાને બે ભારતીય જહાજો પર હુમલો કર્યું હતું, જેનો ભારતે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. ઈરાને દાવો કર્યો હતો કે, તેમની મંજૂરી લીધા વગર આ જહાજો પસાર થઈ રહ્યા હતા. જોકે ભારતે ઈરાની હુમલાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ પણ વાંચો : ‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર

દેશમાં ફર્ટિલાઈઝરનો પૂરતા પ્રમાણમાં ભંડાર

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં ફર્ટિલાઈઝરનો પૂરતા પ્રમાણમાં ભંડાર પડ્યો છે, તેથી ડરવાની જરૂર નથી. ખરીફ પાક માટે 18.17 લાખ મેટ્રીક ટન યુનિરાની જરૂર પડે છે, પરંતુ આપણી પાસે 71.58 લાખ મેટ્રીક ટનનો જથ્થો છે. ગોડાઉનમાં ડીએપી રાસાયણિક ખાતર પણ જરૂરીયાત કરતા વધુ પડ્યું છે. રાહતની વાત એ છે કે, સરકારે યુરિયા અને ડીએપી ખાતરની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી.

LPG, CNG, PNG ગેસનો સપ્લાય 100% સુરક્ષિત

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં LPG, CNG અને PNG ગેસનો સપ્લાય 100 ટકા સુરક્ષિત છે. કોમર્શિયલ ગેસનો ક્વોટા 70 ટકા સુધી વધારી દેવાયો છે, તેથી કોઈએ પેનિક કરવાની ફેલાવાની જરૂર નથી. ગેસની કાળાબજારી અટકાવવા ખાસ કોડ (ઓથેન્ટિકેશન) દ્વારા જ 93% સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિયમો તોડનારી અને અફવા ફેલાવનારી 71 ગેસ એજન્સીઓને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં 'જેકપોટ' લાગી શકે