- ભારતીયો મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહે
- ખાડી યુદ્ધના લીધે ભારતમાં સોય, ડ્રાઇફુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ, તબીબી સાધનો બધુ જ મોંઘુ થશે
નવી દિલ્હી : ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારોને લગભગ પાંચ હજાર કરોડ રુપિયાનો ફટકો પડશે. ડ સોય, ડ્રાયફ્રુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ બધુ જ મોંઘુ થશે. તેની સાથે ભારતના નાના વેપારીઓને પાંચ હજાર કરોડનો ફટકો પડશે તેમ માનવામાં આવે છે. આ યુદ્ધના કારણે લગભગ દરેક વસ્તુના ભાવમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે અને યુદ્ધના મારની અસર દરેક ભારતીયને અનુભવાશે.
ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતના દવા બજાર પર પણ દેખાવવા લાગી છે. કાચા માલના ભાવમાં તેજી આવતા તાવ અને પેઇનકિલરથી લઈને સર્જિકલ પ્રોડક્ટ્સ સુદ્ધા મોંઘુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ દવા અને સર્જિકલ આઇટેમ્સના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થઈ શકે છે.
દવાઓના ઉત્પાદક અને નિકાસકાર લક્ષ્ય ખન્ના બતાવે છે કે જરૂરી કાચો માલ, જેવા કે રાસાયણિક ઉપકરણો, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. તેની સીધી અસર દવા કંપનીના ખર્ચ પર પડી રહી છે.
વાસ્તવમાં ટેબ્લેટ અને સીરપના ઉત્પાદનની સાથે-સાથે તેના પેકેજિંગમાં પણ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. કિંમતો વધવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. તેની અસર દવાની કિંમતો પર દેખાવવા લાગી છે.
સામાન્ય લોકોના ઉપયોગમાં લેવાતી દવામાં સામેલ પેરાસિટામોલના કાચા માલની કિંમતમાં ૪૭ ટકા વધારો થયો છે. દર્દનિવારક ડાઇક્લોફેનાકમાં ૫૪ ટકા અને ડાઇક્લાફેનાક પોટેશિયમના ભાવમાં ૩૩ ટકા વધારો થયો છે. બીજી બાજુએ એન્ટિબાયોટિક્સ પણ બચ્યા નથી.
અમોક્સિલિન ટ્રાઇહાઇડ્રેટની કિંમત ૪૫ ટકા અને સિપ્રોફ્લોક્સાસિનના ભાવમાં લગભગ ૬૨ ટકા વધારો થયો છે. અન્ય એક વેપારીએ પણ જણાવ્યું હતું કે દવાઓની સાથે-સાથે સર્જિકલ પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો થઈ શકે છે. કાચામાલથી લઈને દવાઓ સુદ્ધાનો પેકેજિંગ ખર્ચ વધી ગયો છે.


