નવી દિલ્હી,
તા. ૫
ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર સમજૂતી પછી
દ્વિપક્ષીય સંબધોમાં આવેલી મજબૂતીની અસર હવે સંરક્ષણ સહકાર ઉપર પણ સ્પષ્ટ જોવા મળી
રહી છે.
આ જ ઘટનાક્રમ હેઠળ બંને દેશ લગભગ ૩ અબજ અમેરિકન ડોલરના એક
મોટા સંરક્ષણ સોદાની દિશામાં આગળ વધતા
જોવા મળી રહ્યાં છે. આ પ્રસ્તાવ ભારતીય નૌકાદળ માટે છ એડિશનલ પી-૮આઇ એન્ટી સબમરિન
વોરફેર અને મેરીટાઇમ સર્વેલન્સ વિમાનોથી જોડાયેલ છે.
જેના કારણે હિંદ સમુદ્ર ક્ષેત્રમાં ભારતની સર્વેલન્સ
ક્ષમતાને વધુ મજબૂતી મળવાની આશા છે. ભારતીય નેવી પાસે હાલમાં ૧૨ પી-૮આઇ મેરીટાઇમ
સર્વેલન્સ વિમાન છે. જે તમિલનાડુના અરાકોણમ અને ગોવા સ્થિત એરબેઝથી સંચાલિત
કરવામાં આવી રહ્યાં છે.
આ વિમાનો દ્વારા નેવી પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર કાંઠાની
સાથે સાથે પોતાના સમગ્ર જવાબદાર ક્ષેત્રમાં શત્રુઓની ગતિવિધિઓ પર નજર રાખે છે. છ
વિમાનો સામેલ થવાને કારણે નેવીની એન્ટી સબમરિન અને સમુદ્ર સર્વેલન્સ ક્ષમતાઓમાં
ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર છ નવા પી-૮આઇ વિમાનના ખરીદ
પ્રસ્તાવને ટૂંક સમયમાં જ સંરક્ષણ મંત્રાલયની
મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી આ પ્રસ્તાવને અંતિમ
મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની પાસે મોકલવામાં આવશે.
નેવીની આ ખરીદ યોજના લાંબા સમયથી વિચારાધીન હતી પરંતુ
કીંમતથી જોડાયેલા મુદ્દાઓને કારણે મંત્રણા લાંબા સમયથી અટકી રહી હતી.


