2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO
Stampedes : IPL-2025ની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની છે, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. જો આ વર્ષની નાસભાગની ઘટનાની વાત કરીએ તો, 2025માં આ પાંચમી ઘટના બની છે.
અગાઉ તિરુમાલા, મહાકુંભ, દિલ્હી, ગોવામાં નાસભાગની ઘટના બની હતી
અગાઉ 8 જાન્યુઆરીએ તિરુમાલામાં ધાર્મિક કાર્યક્રમ વખતે, તે પછી 29 જાન્યુઆરીએ મહાકુંભમાં, 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર, ત્યારબાદ 3 મેના રોજ ગોવાના શિરગાઓ ગામમાં મંદિરમાં ઉજવણી વખતે નાસભાગ મચી હતી અને હવે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમમાં નાસભાગની ઘટના બની છે. આમ વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ પાંચ નાસભાગની ઘટના બની છે, જેમાં કુલ 71 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
2025માં કુલ પાંચ નાસભાગની ઘટના બની
08-01-2025, બુધવાર : આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ ખરીદતી વખતે નાસભાગની ઘટના બની હતી, જેમાં 6 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
29-01-2025, બુધવાર : મૌની અમાવાસ્યાના દિવસે 'અમૃત સ્નાન'માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ત્યારે, મહાકુંભના સંગમ વિસ્તારમાં થયેલી ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
15-02-2025, શનિવાર : નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવાની રાહ જોઈ રહેલા મુસાફરો નાસભાગનો શિકાર થયા હતા. આ દરમિયાન નાસભાગ થતાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા.
03-05-2025, શનિવાર : ગોવાના શિરગાંવ ગામમાં શ્રી લૈરાઈ દેવી મંદિરના વાર્ષિક ઉત્સવ દરમિયાન વહેલી સવારે થયેલી ભાગદોડમાં છ લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
04-06-2025, બુધવાર : આઈપીએલ-2025માં ચેમ્પિયન બનનાર રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઉજવણી માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યમ યોજાયો હતો, જ્યાં નાસભાગ થતા 11 લોકોના મોત અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે.